West Bengal Election Re-Polling : પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે 15 બૂથો પર ફેર મતદાન યોજવાની જાહેરાત કરી છે. આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે.
15 મતદાન કેન્દ્રો પર ફરી મતદાન
દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિસ્તારના કુલ 15 મતદાન કેન્દ્રો પર 2 મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે. ચૂંટણી પંચના આદેશ મુજબ આ તમામ કેન્દ્રો પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. આ 15 મતદાન કેન્દ્રોમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથનો સમાવેશ થાય છે જ્યાં અગાઉના મતદાન દરમિયાન અનિયમિતતાઓની ફરિયાદો મળી હતી.
આ પણ વાંચો: બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય


ફાલ્ટામાં 30થી વધુ બૂથો પર પણ ફરી મતદાન
ચૂંટણીની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે પંચ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. 15 બૂથો પર રીપોલિંગની જાહેરાત સાથે જ ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના 30થી વધુ બૂથો પણ ફરી મતદાનના દાયરામાં આવી શકે તેવી શક્યતા છે. ફાલ્ટામાં ભાજપ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઈવીએમમાં તેમના ચૂંટણી ચિહ્ન પર ટેપ લગાવીને છેડછાડ કરવામાં આવી હતી જેથી મતદારો તેમને મત આપી ન શકે. ચૂંટણી પંચે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટ મળ્યા બાદ વધુ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો… LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
હિંસા સહિતની ઘટનાઓ બાદ ફેર મતદાનની જાહેરાત
30 એપ્રિલના અહેવાલો મુજબ બીજા તબક્કાના મતદાન વખતે રાજ્યના અનેક ભાગોમાં હિંસક ઘટનાઓ બની હતી જેમાં કુલ 77 બૂથો પર ફેર મતદાનની માંગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ 77 બૂથોમાંથી 64 બૂથ માત્ર ડાયમંડ હાર્બર વિસ્તારના છે જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી સાંસદ છે. અન્ય ઘટનાઓમાં બારાનગરના એક બૂથ પર 5 વખત ઈવીએમ બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતા અનેક લોકો પરત ફર્યા હતા જ્યારે નોઆપાડામાં ડમી ઈવીએમ દ્વારા મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ આ તમામ વિગતોની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યું છે.
આ પણ વાંચો : ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો















