![]()
Code Of Conduct Case : ઉત્તર પ્રદેશ સુલ્તાનપુરની વિશેષ એમપી-એમએલએ કોર્ટે લોકસભા ચૂંટણી-2014માં આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને સોમનાથ ભારતીને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.
15મેએ હાજર થવા કોર્ટનો આદેશ
ન્યાયિક મેજિસ્ટ્રેટ શુભન વર્માએ સુનાવણી હાથ ધર્યા બાદ 30 એપ્રિલે નોટિસ ફટકારી તમામ આરોપીઓને હાજર થવા આદેશ કર્યો છે. હવે આગામી સુનાવણી 15 મેએ હાથ ધરાશે. સરકારી વકીલ કાલિકા પ્રસાદ મિશ્રના જણાવ્યા મુજબ, આ કેસ અગાઉ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટમાં પેન્ડિંગ હતો, પછી તેને તાજેતરમાં જ વિશેષ એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં 15 બૂથો પર કાલે ફરી મતદાન, ધાંધલની ફરિયાદો બાદ ECનો મોટો નિર્ણય
લોકસભા ચૂંટણી-2014નો મામલો
2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ (Kumar Vishwas) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આક્ષેપ કરાયો છે કે, તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન અમેઠીના પોલીસ અધિકારી મોહમ્મદ હમીદે વિશ્વાસ અને AAP સમર્થકોએ ત્યાંથી જતા રહેવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે તેઓ અમેઠીના મતદાર ન હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના 48 કલાક પહેલા મતવિસ્તારમાં બહારના વ્યક્તિઓ પર પ્રવેશવા પ્રતિબંધ હોય છે.
આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ
રિપોર્ટ મુજબ, જ્યારે પોલીસ અધિકારીએ વિશ્વાસ અને સમર્થકોએ ત્યાંથી જતા રહેવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે સામસામે ઘર્ષણ થયું હતું, જેના કારણે મામલો વધુ ગંભીર બની ગયો હતો. નિર્દેશ છતાં કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી અને તેમના સમર્થકોએ મતક્ષેત્રમાંથી ગયા ન હતા, જેના કારણે પોલીસે તમામ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી કોર્ટે કેસને સ્વસંજ્ઞાન લઈને તમામ આરોપીઓને સમન્સ જારી કરવાનો અને તેઓને વ્યક્તિગત કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણી 15 મેએ હાથ ધરાશે.
આ પણ વાંચો : પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો… LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર















