![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષામાં કેટલાક વિભાગોમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓના કારણે કાયમી અધ્યાપકો પર પરીક્ષાની કામગીરીનું બમણું ભારણ આવી ગયું છે.
યુનિવર્સિટી સત્તાધીશોએ જોકે ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી શરુ કરી છે પણ હાલના તબક્કે તો ૪૦ ટકા જ કાયમી અધ્યાપકો યુનિવર્સિટીમાં છે.કેટલાક વિભાગોમાં તો માત્ર એક કે બે કાયમી અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે.જેની અસર પરીક્ષાની કામગીરી પર પડી છે.
મળતી વિગતો પ્રમાણે ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગમાં કાયમી અધ્યાપકોની ૧૬ જગ્યાઓ છે.જેમાંથી ૧૫ જગ્યાઓ ખાલી છે.એક માત્ર કાયમી અધ્યાપક ડો.બી એચ પટેલ છે અને તેઓ વિભાગના હેડ પણ છે.હંગામી અધ્યાપકો પરીક્ષાના પેપર તપાસી શકે છે પણ પરીક્ષાના પેપર સેટ કરવાની કે પરીક્ષાના ચેરમેન તરીકે કામગીરી આપી શકાતી નથી અને તેના કારણે તેમને વર્તમાન પરીક્ષામાં વિભાગના તમામ ૪૯ પેપર સેટ કરવાનો વારો આવ્યો છે.ભૂતકાળમાં કોમર્સ ફેકલ્ટીના બેન્કિંગ વિભાગમાં પણ આજ સ્થિતિ હતી.સૂત્રોનું કહેવું છે કે, હંગામી અધ્યાપકો અલગ અલગ વિષય ભણાવતા હોય છે પણ જ્યારે પેપર સેટ કરવાના આવે ત્યારે પરીક્ષાના ચેરમેન તરીકે કાયમી અધ્યાપકે હંગામી અધ્યાપકો પાસેથી જાણકારી મેળવીને પોતે પેપર સેટ કરીને પરીક્ષા વિભાગને આપવા પડે છે.















