West Bengal Assembly Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં આજે(4 મે) ચાલી રહેલી મતગણતરી દરમિયાન જણાતા વલણો અનુસાર ભાજપ મતુઆ સમુદાયના પ્રભુત્વ ધરાવતી 11 વિધાનસભા બેઠકો પર પાછળ દેખાઈ રહ્યું છે. આમ, વડાપ્રધાન મોદીએ જે સમુદાય પર ફોકસ કર્યો હતો ત્યાં ભાજપને પછડાટ જોવા મળી છે. આજે 9:50 વાગ્યા સુધી 7 બેઠકો પરના વલણો અનુસાર, શાસક તૃણમૂલ કોંગ્રેસ 4 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 2 બેઠકો પર છે. ગત વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠકોમાંથી 10 બેઠક પર ભાજપની જીત થઈ હતી.
પશ્ચિ બંગાળની રાજનીતિમાં મતુઆ સમુદાય એક અત્યંત નિર્ણાયક અનુસૂચિત જાતિ વોટ બેંક છે. એવુ માનવામાં આવે છે કે, આ સમુદાય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ પ્રભાવ છે. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં આ સમુદાય પર વડાપ્રધાન અને ભાજપની પકડ વધુ મજબૂત માનવામાં આવે છે. વડાપ્રધાન બંગાળના પ્રવાસ દરમિયાન આ સમુદાયના નેતાઓ સાથે મળતા રહે છે અને ત્યાં મંદિરની મુલાકાત લે છે, પરંતુ તાજેતરના વલણોમાં ભાજપને પછડાટ મળતી જોવા મળે છે.
આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ગાબડું, આસામમાં ભાજપ રચશે ઈતિહાસ, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરળમાં કોંગ્રેસ સત્તામાં
11 બેઠક પર મતુઆ સમુદાયનું પ્રભુત્વ
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાય હંમેશા ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહે છે. રાજ્યમાં 11 વિધાનસભા બેઠક એવી છે, જ્યાં મતુઆ સમુદાયનું પ્રભુત્વ છે. જ્યારે આશરે 60 બેઠકો પર આ સમુદાય નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
રાજ્યમાં આ સમુદાયની સંખ્યા 17-18 ટકા છે. આ સમુદાયની એકાગ્રતા મુખ્યત્વે ઉત્તર 24 પરગણા, નાદિયા, હાવડા, દક્ષિણ 24 પરગણા અને દિનાજપુરના સરહદી વિસ્તારોમાં છે. 2026ની ચૂંટણીમાં બોંગાંવ અને રાનીઘાટ જેવા વિસ્તારો મહત્ત્વપૂર્ણ છે, જ્યાં નાગરિકત્વના મુદ્દા(CAA/SIR)ને કારણે આ મતો ભાજપ અને TMC બંને માટે નિર્ણાયક બની ગયા છે.
આ પણ વાંચો: દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી
મતુઆ સમુદાયને વડાપ્રધાને આપી ગેરંટી
વડાપ્રધાન મોદીએ મતુઆ સમુદાયને નાગરિકતા(સંશોધન) અધિનિયમ(CAA) હેઠળ નાગરિકતા આપવાની ‘ગેરંટી’ આપી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ‘મતુઆ સમુદાયને ડરવાની કોઈ જરૂર નથી, તેઓ ભારતના સન્માનજનક નાગરિક છે અને તેમને સ્થાયી સરનામુ મળશે.’ મતુઆ સમુદાયનું પ્રભુત્વ ધરાવતી જે વિધાનસભા બેઠકો છે, તેમાં ઉત્તર 24 પરગણા જિલ્લાના બંગગામ દક્ષિણ, બંગગામ ઉત્તર, ગાયઘાટા, બાગદા અને સ્વરૂપનગરનો સમાવેશ થાય છે. જ્યારે નદિયા જિલ્લા હેઠળ કૃષ્ણગંજ, રાનીઘાટ ઉત્તર પુરબા, હરિણઘાટા મુખ્ય છે.















