Punjab Politics: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટી (AAP)ના તમામ ધારાસભ્યો આજે દિલ્હીમાં છે. ભગવંત માન ધારાસભ્યોના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવાના છે, પરંતુ આ મુલાકાત પહેલા પંજાબ કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ ગંભીર આક્ષેપો કરીને રાજકીય તણાવ વધારી દીધો છે. બાજવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) એક જ સિક્કાની બે બાજુઓ છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી માન ગુપ્ત રીતે ધારાસભ્યોને દિલ્હીમાં રાખીને ભાજપના હિતો સાધવામાં મદદ કરી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાની મુલાકાત અને બાજવાએ વ્યક્ત કરેલી ‘સરપ્રાઈઝ’ની આશંકા
પ્રતાપસિંહ બાજવાએ પોતાની પોસ્ટમાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભગવંત માનની મુલાકાતથી માત્ર 90 મિનિટ પહેલા જ AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ અને રાજીન્દર ગુપ્તાએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.
બાજવાએ સવાલ ઉઠાવ્યા છે કે આટલા ટૂંકા ગાળામાં થયેલા આ ઘટનાક્રમ પાછળ કોઈ મોટું રાજકીય કારણ હોઈ શકે છે. તેમણે ચેતવણીભર્યા લહેકામાં લખ્યું કે, જે ગતિએ વસ્તુઓ આગળ વધી રહી છે તે જોતા અરવિંદ કેજરીવાલને ટૂંક સમયમાં જ કોઈ મોટું ‘સરપ્રાઈઝ’ મળી શકે છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે ગઈકાલે જ ભાજપના નેતા સુનીલ જાખડે પણ આ બાબતે સંકેત આપ્યા હતા.
આ પણ વાંચો: એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો
દિલ્હીમાં AAPના ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન
બીજી તરફ, આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાલ દિલ્હીમાં હાજર છે. મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના વિવિધ મુદ્દાઓ અંગે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવાના છે. જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કારણે આ મુલાકાત હવે શુદ્ધ રાજકીય વળાંક લઈ રહી છે. બાજવાએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે AAP અને ભાજપ વચ્ચે અંદરખાને કોઈ રણનીતિ ચાલી રહી છે.
















