![]()
Ahmedabad News: વાહનચાલકો માટે જોખમી બની ગયેલા અમદાવાદના બલોલનગર બ્રિજ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ન્યૂ રાણીપથી બલોલનગર તરફ ફુલ સ્પીડે જઈ રહેલા એક બાઈક ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો. જેમાં બેકાબૂ બાઈક સીધું ડિવાઇડર અને બ્રિજની પાળી સાથે ધડાકાભેર અથડાયું હતું, જેને લીધે ચાલક હવામાં ફંગોળાઈને પુલ પરથી સીધો નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ભારે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે એકઠા થયેલા રાહદારીઓએ તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ બ્રિજ પર આવેલો ભયજનક વળાંક જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને માત્ર એક જ મહિનામાં આ ત્રીજો મોટો અકસ્માત સર્જાયો છે. થોડા સમય પૂર્વે પણ બરાબર આ જ રીતે એક ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પડી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ અને ‘ખતરનાક સ્થળ’ પર થતાં અકસ્માતના બનાવોને કારણે સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ છે.
રેલિંગ અને ડાયવર્ઝનના ચેતવણી બોર્ડ લગાવવાની સ્થાનિકોની માગ
સતત વધી રહેલા જીવલેણ અકસ્માતો છતાં વહીવટી તંત્રની ઘોર નિદ્રા સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકો લાંબા સમયથી બ્રિજની બંને બાજુ ઊંચી રેલિંગ અને ડાયવર્ઝન માટેના ચેતવણી બોર્ડ લગાવવાની માગ કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા સુધારવા મ્યુનિસિપલ કોર્પોરેશનને(AMC) લેખિત જાણ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી.
આ પણ વાંચો: અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ
બીજી તરફ, ઘટનાસ્થળે પહોંચેલી એલ-ડિવિઝન ટ્રાફિક પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં અન્ય કોઈ વાહને ટક્કર મારી ન હોવાથી, હાલ પૂરતી ઇજાગ્રસ્તના પરિવારજનો દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી નથી.















