![]()
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર ખાતે સી.સી. રોડના કામને લઈ ગામના સરપંચ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી જયેશકુમાર શાંતિભાઈ તેરૈયા (ઉ.વ.42, રહે. ગાયત્રી સોસાયટી, લાલપુર, ગામ)ના સરપંચ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ તા.06/05/2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાના સમયે લાલપુર મેઇન રોડ પર બાબા પાનની સામે જાહેર રોડ ઉપર તેઓ હાજર હતા ત્યારે આરોપી દિપકભાઈ કુરજીભાઈ ભાલોડીયા તથા તેમના પુત્ર રોયલ દિપકભાઈ ભાલોડીયા (રહે.પટેલ શેરી, બાવરીયા શેરી, લાલપુર) તેમને રોક્યા હતા.
તે દરમિયાન આરોપીઓએ સી.સી. રોડના કામ બાબતે ઉશ્કેરાઈ જઈ સરપંચ સાથે ગાળાગાળી કરી હતી. ફરિયાદીએ રોડનું કામ ગ્રામ પંચાયતનું નહીં પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવતું હોવાનું કહેતા બંને આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ મુજબ આરોપી રોયલ પાસે લોખંડનો પાઈપ પણ હતો, જેથી જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસે નોંધ્યું છે. હાલ બંને આરોપીઓની અટકાયત બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ લાલપુર પોલીસ ચલાવી રહી છે.















