પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના રોજ નરીમન પોઇન્ટ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, મુંબઈ ખાતે અત્યંત ગૌરવમય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્તમ કાર્યશૈલી, સમર્પણ, ફરજનિષ્ઠા તેમજ પડકારજનક પરિસ્થિતિઓમાં તેમના નોંધપાત્ર યોગદાનને સન્માનિત કરવા માટે યોજવામાં આવે છે.
રેલ સપ્તાહ સમારોહ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ મંડળો અને વિભાગોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે કાર્યક્ષમતા શીલ્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે ભાવનગર મંડળે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં વાણિજ્ય, સંરક્ષા અને રાજભાષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ત્રણ પ્રતિષ્ઠિત શીલ્ડ મેળવી મંડળનું ગૌરવ વધાર્યું છે.
ભાવનગર મંડળના મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે “રેલ મદદ” ફરિયાદોના ઝડપી અને અસરકારક નિરાકરણમાં નોડલ એજન્સી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની ઉપસ્થિતિમાં “રેલ મદદ કાર્યક્ષમતા શીલ્ડ” વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીને એનાયત કરવામાં આવી.
તે જ રીતે સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને વધુ સારા સલામતી ધોરણો માટે “સંરક્ષા શીલ્ડ” વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી સોનુ કુમારને તથા રાજભાષા અમલીકરણ અને હિન્દીના અસરકારક ઉપયોગ માટે “રાજભાષા શીલ્ડ” મંડળ વિદ્યુત ઇજનેર અને રાજભાષા અધિકારી શ્રી રામપ્રીત મૌર્યાને આપવામાં આવી.
ભાવનગર મંડળને પ્રાપ્ત થયેલી આ સિદ્ધિઓથી અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ આ સફળતાનો શ્રેય મંડળના તમામ કર્મચારીઓની ટીમ સ્પિરિટ, ફરજનિષ્ઠા અને ઉત્તમ કાર્યસંસ્કૃતિને આપતાં સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ આવી જ સમર્પણભાવના અને ઉત્તમતા સાથે કાર્ય કરતા રહેવા માટે આહ્વાન કર્યું હતું.














