![]()
Keralam CM Race: કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી કરવી કાંટાળા તાજ સમાન બની ગઈ છે. શુક્રવારે આખા રાજ્યમાં હજારો કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પક્ષના નેતા વી. ડી. સતીશનને જ મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સતીશન vs વેણુગોપાલ લડાઈ આરપારની
કેરલમમાં અત્યારે બે મોટા જૂથો આમને-સામને છે. એક તરફ વી. ડી. સતીશન છે. જેમણે છેલ્લા 5 વર્ષ વિપક્ષી નેતા તરીકે જમીની સ્તર પર લડત આપી છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલનું નામ પણ ચર્ચામાં છે. કાર્યકરો કોઈ પણ સંજોગોમાં વેણુગોપાલને પેરાશૂટ નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે જે નેતાએ યુદ્ધ જીતાડ્યું, તેને જ સત્તા સોંપવી જોઈએ. રિપોર્ટ્સ મુજબ, કોંગ્રેસના 63 ધારાસભ્યોમાંથી બહુમતી વેણુગોપાલના પક્ષમાં હોવાનું મનાય છે, જે હાઈકમાન્ડ માટે મોટી મૂંઝવણ છે.
આ પણ વાંચો : પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
CPI(M) જેવો ઇતિહાસ દોહરાશે?
કેરલમના રાજકારણમાં આ સ્થિતિ 2006ની યાદ અપાવે છે. ત્યારે CPI(M) માં પિનારાયી વિજયન સામે વીએસ અચ્યુતાનંદન માટે જનતા રસ્તા પર ઉતરી હતી અને અંતે પાર્ટીએ નમવું પડ્યું હતું. હવે કોંગ્રેસમાં પણ કાર્યકરો સેક્યુલર કેરલમ માટે સતીશનની માંગ કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ માટે ખુબ જ દ્વિધાયુક્ત સ્થિતિ સર્જાઇ છે.
ઐતિહાસિક જીત
સતીશને જાહેરાત કરી હતી કે, જો UDF 100 સીટ નહીં જીતે તો તેઓ નિવૃત્ત થશે, પરંતુ ગઠબંધને 140 માંથી 102 સીટો જીતી બતાવી છે. સતીશનના સમર્થનમાં રેલી કાઢનાર ઇડુક્કીના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની સામે સાંસદ ડીન કુરિયાકોસે વિરોધ નોંધાવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, જે મહેનત કરે તેને જ મજૂરી મળવી જોઈએ. તેમનું આ નિવેદન પરોક્ષ રીતે સતીશનના સમર્થનમાં માનવામાં આવે છે. જે નેતાએ રણમેદાનમાં નેતૃત્વ કર્યું, તેને જ શાસન કરવા દો તેવા કોંગ્રેસના કાર્યકરો નારો લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ધારાસભ્યોના આંકડાને મહત્વ આપે છે કે રસ્તા પર ઉતરેલા કાર્યકરોની લાગણીને?















