![]()
મુંબઈ : પશ્ચિમ એશિયાનો સંઘર્ષ મેમાં ત્રીજા મહિને પણ હજુ સમાપ્ત થવાના સંકેત નથી જણાતા ત્યારે યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ)ની બેન્કો તેમના ઉદ્યોગોને ધિરાણ કરવામાં સાવચેતી ધરાવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અખાતી દેશોમાં કાર્યરત ભારતની બેન્કો પણ ત્યાંના વેપારગૃહોને લોન્સ પૂરી પાડવામાં ઉદાસીનતા ધરાવે છે.
લોન છૂટી કરવામાં બેન્કો દ્વારા ઢીલ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પણ વધી રહેલી અનિશ્ચિતતા વચ્ચે લોન મંજુર કરવાના ધોરણોને પણ સખત બનાવી દેવાયા છે એવો ઉદ્યોગના આગેવાનો દ્વારા દાવો કરાઈ રહ્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
યુએઈમાં ઉત્પાદન, હોસ્પિટાલિટી, રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને નવી લોન મેળવવામાં મુશકેલી પડી રહી હોવાનું સ્થાનિક ઉદ્યોગ આગેવાનોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું.યુએઈની બેન્કો નાણાંકીય રીતે સદ્ધર હોવા છતાં, વર્તમાન ભૌગોલિક રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખી તે સાવચેતીભર્યુ વલણ ધરાવી રહી છે.
અગાઉ છૂટી કરાયેલી લોન્સ પર શકય તાણને ધ્યાનમાં રાખી માર્ચ ત્રિમાસિકમાં બેન્કો દ્વારા જોગવાઈમાં પણ વધારો કરાયો છે. કેટલીક મોટી બેન્કો દ્વારા ધિરાણમાં ૮૦થી ૮૫ ટકા જેટલો ઘટાડો થયો છે.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે અખાતી વિસ્તારોમાં શાખાઓ ધરાવતી ભારતની બેન્કોએ પણ નવી લોનો આપવાનું લગભગ અટકાવી દીધું છે. એસબીઆઈ ઉપરાંત પીએનબીએ પણ અખાતી વિસ્તારમાં નવી લોન પૂરી નહીં પાડવા નિર્ણય કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.















