![]()
મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા સામેની કારમાં સુરતના 6 લોકો હતા, ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ચાલક નાસી છુટયો
દીવ, : અહીના નાગવા બીચ રોડ પર ગત રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં બે કાર સામસામે ટકરાઈ જતાં આ અકસ્માતમાં મધ્યપ્રદેશના પિતા પુત્રના મૃત્યુ નીપજયાની ગમખ્વાર ઘટના બની છે. જયારે આ જ પરિવારના બેને ઈજા થતા ઉનાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે.
બનાવની વધુ વિગત મુજબ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો ચાર સભ્યોનો પરિવાર સૌરાષ્ટ્રના પ્રવાસે દીવ આવ્યો હતો. રાતના સમયે તેઓ કારમાં જઈ રહ્યા હતા એ જ વખતે સામે સુરતના ૬ સહેલાણીઓની કાર ધડાકાભેર ટકરાઈ જતાં હાઈવે પર ભારે દેકારો મચી ગયો હતો.
આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ગ્વાલિયરના પૃથ્વીભાઈ હોમરાજ વાઘવાણી અને તેના સોળ વર્ષીય પુત્ર અનિકેત વાઘવાણીના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા જયારે આ પરિવારના નીતુ પૃથ્વીભાઈ વાઘવાણી અને ઓમેશ ગીરધારીને ગંભીર ઈજા થતાં ઉનાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે. સામેની કારમાં સુરતના છ લોકો હતા,જેમાં કાર મીહિર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત સર્જાયા તે બાદનાસી છુટયો હતોે. આ ઘટના અંગે દીવના પોલીસ ઈન્સપેક્ટર રમેશ ગાવિતે ઘટના સ્થળે પહોંચી વિશેષ તપાસ હાથ ધરી છે.















