![]()
નેશનલ હાઈવે નંબર ૪૮ અમદાવાદથી મુંબઈને જોડતો હોવાથી આ માર્ગ પર વાહનચાલકોનો ભારે ધસારો રહે છે. જો કે આ હાઈવે પર વાહન અકસ્માતની ઘટનાઓ પણ ચિંતાજનક છે. છાસવારે અકસ્માતોની ઘટનાથી હાઈવે રક્તરંજિત બને છે.
સુંદરપુરા પાટિયાથી દરજીપુરા આરટીઓ સુધીના હાઈવે પર છેલ્લા અઢી વર્ષ દરમિયાન અકસ્માતના ૧૦૪ બનાવો નોંધાયા છે, જેમાંથી ૬૮ બનાવો ફેટલ (મોત) હોવાનું કપુરાઈ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયું છે. સુંદરપુરા પાટિયાથી દરજીપુરા આરટીઓ સુધી બંને તરફનો ૧૯ કિલોમીટરનો હાઈવે કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.
કપુરાઈ પોલીસ સ્ટેશને નોંધાયેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન અકસ્માતના ૧૮ અને ફેટલના ૧૯ બનાવો નોંધાયા હતા. વર્ષ ૨૦૨૫માં અકસ્માતના ૧૩ બનાવો સામે આવ્યા હતા, જ્યારે ફેટલ અકસ્માતોની સંખ્યા વધીને ૩૪ સુધી પહોંચી હતી. ચાલુ વર્ષ ૨૦૨૯માં અત્યાર સુધી અકસ્માતના ૧૫ અને ફેટલના ૧૫ બનાવો નોંધાયા છે.
અકસ્માતોના કારણોમાં ઓવરટેક કરવાની હોડ, ઓવર સ્પીડ, રખડતા પશુઓ, રસ્તા પર ઊભેલા વાહનની પાછળ અન્ય વાહન ધૂસી જવું તેમજ વાહનચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસવાના કારણો મુખ્ય હોય છે.
હાલ હાઈવે પર સિક્સ લેનની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય તેવા એંધાણ ન હોવાથી આગામી દિવસોમાં વધુ સાવચેતીના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ ઉપરાંત આજવા ચોકડીથી જાંબુઆ તરફ વરસાદી કાચો કાંસ પાકો કરવાની કામગીરી પણ ચાલી રહી હોવાથી વાહનચાલકોએ સાવચેતી રાખવી જરુરી છે.















