![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઈટ નિયમિત રીતે અપડેટ નહીં થતી હોવાનું સત્તાધીશોના ધ્યાનમાં હવે રહી-રહીને આવ્યું છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ ૧૦ સભ્યોની એક કમિટિ બનાવી છે.
આ કમિટિને વેબસાઈટ પર મૂકાતી તમામ માહિતી રિવ્યૂ કરવાની, તેની ખરાઈ કરવાની, યુનિવર્સિટીના પરિપત્રો અને બીજી જાણકારી નિયમિત રીતે અપડેટ કરવાની તથા જૂની અને આઉટડેટેડ માહિતી દૂર કરવા સહિતની જવાબદારી સોંપવામાં આવી છે.કમિટિએ નિયમિત રીતે વિવિધ ફેકલ્ટીઓ અને વિભાગો પાસેથી જાણકારી એકત્રિત કરીને વેબસાઈટ પર મૂકવાની રહેશે.આ માટે કમિટિ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર સાથે સંકલન કરશે.કમિટિના કન્વીનર તરીકે કોમર્સ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો.જે.કે પંડયાની નિમણૂક કરવામાં આવી છે.
જોકે કમિટિના સભ્યોમાં આશ્ચર્યજનક રીતે યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીનો સમાવેશ નથી કરાયો.જેમની જાણકારી એકત્રિત કરવાની જવાબદારી છે.લકુલેશ ત્રિવેદી યુનિવર્સિટી હેડ ઓફિસ કરતા ભાજપ કાર્યાલય પર વધારે જોવા મળે છે.અધ્યાપક આલમમાં એવી ચર્ચા છે કે, યુનિવર્સિટી સત્તાધીશોએ પણ પીઆરઓને કોઈ કામગીરી સોંપવાની નથી તેવું સ્વીકારી લીધું છે.















