AAP Leaders Claim Abduction in Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીનો વિવાદ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે 13-13 સભ્યોની ટાઈ હોવા છતાં ભાજપે મેળવેલી સત્તા પાછળ મોટો ખેલ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મુક્ત થઈને પરત ફરેલા ‘આપ’ના ત્રણ તાલુકા પંચાયત સદસ્યોએ મીડિયા સમક્ષ પોલીસ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, બીજી તરફ પોલીસે આ આક્ષેપોને નકારીને સભ્યો પોતાની મરજીથી ગયા હોવાનો દાવો કર્યો છે.
ચૂંટણીના દિવસે જ 3 સભ્યોનું અપહરણ કરાયું હતું
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંને પાસે 13-13 સભ્યોનું સરખું સંખ્યાબળ હતું. શનિવારે (23મી મે) પ્રમુખની વરણી માટે જ્યારે સભ્યો તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા પહોંચ્યા, ત્યારે જ કચેરી કેમ્પસમાંથી 30થી 40 લોકોના ટોળા દ્વારા ભીલપુર તાલુકા પંચાયત બેઠકથી રમેશ રાઠવા, બરોજ તાલુકા પંચાયત બેઠકથી દેવલા રાઠવા અને એકલબારા તાલુકા પંચાયત બેઠકથી બાવા નાયકાનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો: છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા
આંખે પાટા બાંધ્યા, કારમાં ફેરવ્યા
મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘અમે વેચાવવા વાળા સદસ્યો નથી અને વેચાયા પણ નથી, અમારું અપહરણ જ થયું હતું. અપહરણકારોએ અમારી આંખો ઉપર પાટા બાંધી દીધા હતા અને આખો દિવસ કારમાં ફેરવતા રહ્યા હતા. ત્યારબાદ અમને છોટા ઉદેપુર તાલુકાના રૂનવાડ ગામ પાસે ઉતારવામાં આવ્યા. ત્યાં આંખો પરથી પટ્ટી છોડવામાં આવતા જ સામે પોલીસની ગાડી ઉભેલી દેખાઈ હતી. પોલીસ અમને પોતાની ગાડીમાં બેસાડીને તેજગઢ લઈ ગઈ હતી. ત્યાં પોલીસે અમને કહ્યું કે કાગળમાં સહી કરી આપો તો જ ઘરે જવા દઈશું, જેથી અમારે સહી કરવી પડી હતી. એટલું જ નહીં અમને માર પણ મારવામાં આવ્યો છે.’
બીજી તરફ, આ સમગ્ર હંગામા અને આક્ષેપો અંગે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. ડી. વસાવાએ તદ્દન અલગ જ વાત રજૂ કરી છે. પીઆઈના જણાવ્યાનુસાર, ‘ત્રણેય સદસ્યોએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે તેઓ પોતાની મરજીથી ભાગી ગયા હતા. તેઓને પ્રમુખની વરણીમાં મત આપવો નહોતો, એટલા માટે તેઓ જાતે જ આઘા-પાછા થઈ ગયા હતા.’
સભ્યો અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ
હાલ આ મામલે મોટો પેચ ફસાયો છે. એક તરફ ભોગ બનનાર ત્રણેય તાલુકા પંચાયત સદસ્યો ભાજપ દ્વારા અપહરણ અને પોલીસ દ્વારા બળજબરી તેમજ માર મારવાની ગંભીર વાત કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ સભ્યોના નામે ‘જાતે ભાગી ગયા’ હોવાનું નિવેદન આગળ ધરી રહી છે. આ વિરોધાભાસી પરિસ્થિતિ વચ્ચે સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલ પંથકમાં આ મુદ્દો ભારે ચર્ચાની એરણે ચડ્યો છે.















