![]()
Vadodara : પ્રેમ લગ્ન કર્યા બાદ મ્યુઝિક ક્લાસ ચલાવી દાંપત્ય જીવન વિતાવતા પ્રજ્ઞાચક્ષુ દંપતી વચ્ચે શંકાના કિડાએ તોફાન સર્જતા આખરે અભયમને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવો પડ્યો હતો.
સુરત નજીક રહેતા પ્રજ્ઞાચક્ષુ પતિ-પત્નીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેમના સાસરીયા બંનેને રાખવા તૈયાર ન હતા. જેથી તેઓ મ્યુઝિક ક્લાસ ચલાવીને દાંપત્યજીવન વ્યતીત કરતા હતા.
થોડા દિવસ પહેલા પતિ પત્ની અમદાવાદ આવ્યા ત્યારે એક અજાણી પ્રજાચક્ષુ મહિલા સાથે પરિચય થતા તેઓ અમદાવાદ બસ સ્ટેન્ડ ખાતે ત્રણ-ચાર દિવસ રોકાયા હતા. જેને કારણે પત્નીને શંકા થતી હતી અને ધર્મની બહેનને દૂર રાખવા કહેતી હતી.
આ બાબતે બંને વચ્ચે ખટરાગ થતા પતિએ પત્નીને લાફો માર્યો હતો. જેથી પતિ નાહવા ગયા ત્યારે પત્ની રિસાઈને ઘર છોડી ગઈ હતી. વડોદરા બસ ડેપો પર આવ્યા બાદ તેણે પોતાના બનેવીને બનાવની જાણ કરતા તેમણે મહિલાના પતિને ફોન કરી વડોદરા બસ ડેપો પરથી લઈ આવવા કહ્યું હતું.બનાવની જાણ અભયમને કરાતા તેમણે બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.















