CBSE Controversy : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક અને CBSE ધોરણ-12ના પરિણામ તેમજ ઑન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં ખામી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે મોદી-પ્રધાનની જોડીએ વધુ એક પ્રતિષ્ઠિત સંસ્થાનને ગેરરીતિનું પ્રતિક બનાવી દીધું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે ચેતવણી પણ આપી છે કે, દેશના યુવાનો અને જેન-જી આ વખતે મોદી સરકારનો અહંકાર તોડીને જ રહેશે.
રાહુલના વડાપ્રધાન-શિક્ષણ મંત્રી પર આકરા પ્રહાર
કોંગ્રેસ નેતાએ સીબીએસઈ અને ડિજિટલ ઈવેલ્યુએશન સિસ્ટમ (ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ)માં ખામીના કારણે પરેશાન થયેલા 18.5 લાખ બાળકોનો મુદ્દે ઉઠાવીને સરકારની સંવેદનશીલતા અને જવાબદારી પર ગંભીર સવાલો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, ‘વડાપ્રધાન મોદી અને શિક્ષણ મંત્રી પ્રધાનની જોડીએ વધુ એક સંસ્થાને ગેરરીતિનું પ્રતિક બનાવી દીધું છે. દાયકામાં પહેલીવાર CBSE બોર્ડ પરીક્ષા પર આવા ગંભીર સવાલો ઉઠ્યા છે. તેમણે કહ્યું કે, ‘18.5 લાખ ઉમેદવારોએ જેની પરીક્ષા આપી તે નીટ-યુજીનું પેપર લીક થયું, તે પછી એક અઠવાડિયાથી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં ખોટી માર્કિંગ અને તપાસમાં ગડબડીની ફરિયાદો ઉઠી છે. આટલી બધી સમસ્યા છતાં શિક્ષણ મંત્રી પોતાની ખુરશી સાથે ચિપકાયેલા રહ્યા છે.’
‘17 વર્ષના બાળકને ન્યાય મળવાની જગ્યાએ અપશબ્દો કહેવાયા’
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોસ્ટમાં એક પીડિત વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વિદ્યાર્થીએ પોતાની ઉત્તરવહી (આન્સર શીટ એક્સચેન્જ) બદલાઈ જવાની સમસ્યા પુરાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે આ મામલે રાહુલે ભાજપની આઈટી સેલને સાણસામાં લીધી છે. તેમણે લખ્યું કે, ‘17 વર્ષના વિદ્યાર્થીએ પોતાની ઉત્તરવહીની ખોટી તપાસ કરાઈ હોવાનો દાવો કરીને ન્યાયની આશાએ સોશિયલ મીડિયા પર વિગતો શેર કરી હતી, જોકે તેને મદદ કરવાના બદલે અપશબ્દો કહેવામાં આવ્યા. ભાજપની આઈટી સેલે તે વિદ્યાર્થીને દેશ વિરોધી કહ્યો, સોરોસનો એજન્ટ ગણાવ્યો, ડીપ સ્ટેટ પણ કહ્યો. આ 17 વર્ષના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને અવાજ ઉઠાવ્યો છે અને આ ભાજપ તેને દેશદ્રોહી ગણાવી રહી છે.’
આ પણ વાંચો : ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારામનનો દાવો
યુવાઓ મોદી સરકારનો ઘમંડ તોડશે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ પસંદગી પ્રક્રિયા અને મૂલ્યાંકનમાં ઉભી થયેલી ખામી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા વિદ્યાર્થીઓને ડરાવવાની અને ધમકાવવાના રાજકારણ પર વાંધો ઉઠાવી વડાપ્રધાનને સીધી જ ચેતવણી આપી છે. તેમણે પોસ્ટમાં છેલ્લે લખ્યું છે કે, ‘સત્ય એ છે કે, મોદી સરકાર યુવાઓ અને જેન-જીથી ડરે છે, કારણ કે હવે તેઓ સવાલ પુછી રહ્યા છે. જો કોઈ સવાલ પુછે તો આ સરકાર તેમને બદનામ કરે છે, ડરાવે છે, કચડી નાખે છે. પણ તમે સાંભળી લો… આ જ યુવાઓ, આ જ જેન-જી તમારો અહંકાર તોડી નાખશે.’
પેપર લીક બાદ પોર્ટલમાં ખામી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા NEET-UG-2026માં પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરીને ફરી યોજવાની જાહેરાત કરાઈ હતી. આ પેપક લીકની ઘટનામાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના થોડા દિવસો બાદ CBSEના પુનઃમૂલ્યાંકન અને ઉત્તરપત્ર ચકાસણી માટેના ઓનલાઈન પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના! ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના મૃતદેહ















