![]()
વડોદરા, તા.25 વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઇવેથી પવિત્ર યાત્રાધામ નારેશ્વરને જોડતા સ્ટેટ હાઇવેની હાલત ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે ખરાબ થઇ ગઇ છે. રોડ પર ઠેરઠેર મોટા ખાડાના કારણે આજે નારેશ્વર ગંગા દશહરા નિમિત્તે નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓને હેરાન થવું પડયું હતું.
પાલેજથી નારેશ્વર વચ્ચે આશરે ૧૦ કિ.મી. રોડ પર વારંવાર કામગીરી કરવા છતાં રોડની હાલત થોડા સમયમાં જ ખરાબ થઇ જાય છે. રોજે રોજ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ દોડતા હોવાથી રોડ અનેક સ્થળોએ બેસી જતો હોય છે અને તેના કારણે કાર, રિક્ષા તેમજ ટુ વ્હીલરોના ચાલકોને ભોગવવાનું આવતું હોય છે. બે વર્ષે પહેલાં જ રૃા.૩૪ કરોડનો ખર્ચ કર્યો છતાં પણ રોડની હલકી કામગીરી કે ઓવરલોડ વાહનોના કારણે રોડની હાલત ખરાબ થઇ ગઇ છે.
પાલેજથી નારેશ્વર આવતાં જ અનેક મોટા ખાડાઓના કારણે નાના-મોટા અકસ્માતો વારંવાર સર્જાતા હોય છે. આ ઉપરાંત પાછીયાપુરાથી ઓઝ ગામ સુધી પણ રોડની હાલત યોગ્ય નથી. પાલેજથી નારેશ્વર સુધી જતા રોડની બંને બાજુ રેતીનો મોટો સ્ટોક કરેલો હોવાથી મોટો ડુંગરો જોવા મળે છે. આજે ગંગા દશહરા નિમિત્તે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ નારેશ્વર જતા હતા ત્યારે સ્ટેટ હાઇવેની ખસ્તા હાલતનો શિકાર બનવું પડયું હતું. સાંસરોદ, સારિંગ, શનાપુરા અને પાછીયાપુરા પાસે અનેક મોટા ખાડાઓ જણાયા હતાં.















