![]()
વડોદરા,વાઘોડિયારોડ ગાર્ડન નજીક રાઠોડિયા વાસમાં રહેતા શ્રમજીવીનું મોત થયું હતું.કોઇ સંબંધી અગ્નિદાહ માટે નહીં આવતા પોલીસે જાતે અંતિમવિધી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયારોડ તપોવન ડુપ્લેક્સ પાસેથી ગઇકાલે બપોરે એક શ્રમજીવીની લાશ મળી હતી. અન્નોન લાશ અંગે પોલીસને મેસેજ મળતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા મૃતક વાઘોડિયારોડ ડી માર્ટ નજીક રાઠોડિયા વાસમાં રહેતા ૫૬ વર્ષના મહેશ રમણભાઇ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું હતું.આજે બપોરે પાણીગેટ પોલીસને મેસેજ મળ્યો હતો કે, વાઘોડિયા રોડ ડી માર્ટ નજીક રાઠોડિયાવાસમાં એક ડેડબોડીને સળગાવવામાં આવી રહી છે. જેથી, પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર ગયા તો જાણ થઇ કે, ગઇકાલે કુદરતી રીતે મરણ પામેલા મહેશ રાઠોડિયાના મૃતદેહ પર તેમના પત્નીએ જ ગોદડી ઓઢાડી આગ લગાવી દીધી હતી. પોલીસે આગ બુઝાવી મૃતકના પત્નીની પૂછપરછ કરતા એવી કેફિયત રજૂ કરી હતી કે, પતિના મૃતદેહને અગ્નિદાહ આપવા માટે કોઇ સંબંધીઓ નહીં આવતા મેં આ પગલું ભર્યુ હતું. ત્યારબાદ પાણીગેટ પોલીસે જાતે મૃતદેહને સ્મશાનગૃહે લઇ જઇ વિધિ પૂર્વક અગ્નિદાહ આપ્યો હતો.
૧૫ વર્ષથી પરિવાર છોડીને રહેતા હોઇ સંબંધીઓ ના આવ્યા
વડોદરા,
પોલીસનું કહેવું છે કે, મહેશ રાઠોડિયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું. તેમજ તેમના પત્ની અને અન્ય સગાઓએ પી.એમ. કરવાની ના પાડતા તેઓના વિગતવાર નિવેદનો લઇ મૃતદેહ સુપરત કર્યો હતો. મહેશનું મૂળ વતન ડભોઇ તાલુકાના કુંઢેલા ગામના વતની છે. મહેશભાઇ અને જશોદાબેન છેલ્લા ૧૫ વર્ષથ પોતાના ઘર છોડીને આવી પતિ પત્ની તરીકે રહેતા હોઇ સગાઓએ સંબંધ રાખ્યો નહતો.પોલીસનું કહેવું છે કે, જો અમને ગઇકાલે જ આ વાત કરી હોત તો અમે અંતિમ વિધિની સગવડ કરી આપતા.















