– બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીનો 20 વર્ષથી સરકારી બંગલા પર જમાવડો
– સમ્રાટ ચૌધરી ઇચ્છે એટલી ફોર્સ બોલાવી લે હું બીજા મકાનમાં નથી જવાની તેવો રાબડીએ પડકાર ફેંક્યો હતો
– સરકારી મકાન કોઇની ખાનગી સંપત્તિ નથી, પૂર્વ સીએમ હોય તો પણ કાયદાનું પાલન કરવું પડે : ભાજપ
પટણા : બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સરકારી બંગલો ખાલી કરવાની ના પાડી દીધી હતી સાથે જ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું હતું કે જેટલા દળો કે પોલીસને મોકલવી હોય એટલી મોકલો હું આ મકાન ખાલી નહીં કરું. રાબડી દેવીના આ વલણ બાદ મોટી સંખ્યામાં પોલીસ તેમના નિવાસ સ્થાને પહોંચી ગઇ હતી. જેથી હવે આ મુદ્દે બિહારનું રાજકારણ ગરમાયું છે.
બિહાર વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા રાબડી દેવી, આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ સહિત પુરો પરિવાર પટનાના ૧૦ સર્ક્યુલર રોડ સ્થિત બંગલામાં બે દસકાથી રહે છે.
જેને ખાલી કરવા માટે સરકાર તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી, જોકે આ બંગલો ખાલી કરવાની રાબડી દેવીએ સ્પષ્ટ ના પાડી દીધી છે સાથે જ જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લોની ધમકી પણ આપી છે.
રાબડી દેવી અને તેમનો પુરો પરિવાર હાલ જે સરકારી બંગલામાં રહે છે તેને વર્તમાન રાજ્ય સરકારના મંત્રી નંદકિશોર રામને ફાળવવામાં આવ્યો છે. રાબડી દેવીને નિયમ મુજબ અન્ય સ્થળે મકાન ફાળવવામાં આવ્યું છે જેનો સ્વીકાર કરવાની તેમણે ના પાડી દીધી છે.
બીજી તરફ બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગીએ કહ્યું હતું કે સરકારી મકાન કોઇ ખાનગી સંપત્તિ નથી, બિહારમાં કાયદાનું શાસન છે, એવામાં કોઇ પૂર્વ મુખ્યમંત્રી જ કેમ ના હોય નિયમોનું પાલન તેમણે પણ કરવું જ પડે.
રાબડી દેવી ૧૯૯૭થી ૨૦૦૫ સુધી એટલે કે આઠ વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા, આ બંગલો અગાઉની નિતિશ કુમારની સરકાર દ્વારા રાબડી દેવીને ફાળવવામાં આવ્યો હતો. હવે બિહારમાં ભાજપના મુખ્યમંત્રી છે એવામાં આ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છેે. હાલ મોટી સંખ્યામાં આ બંગલામાં પોલીસે પ્રવેશ કર્યો છે, રાબડી દેવીને મનાવવા પ્રયાસ થઇ રહ્યો છે. જો તેઓ નહીં માને તો બળજબરીથી તેમને મકાન ખાલી કરાવવામાં આવી શકે છે.
કેરી, લાડવા સાથે લાલુ પુત્રી રોહિણીને મળવા સિંગાપોર પહોંચ્યા
સિંગાપોર : રાબડી દેવી પાસે સરકારી મકાન ખાલી કરાવવા પ્રયાસ થઇ રહ્યો છે એવા સમયે તેમના પતિ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પોતાની પુત્રી રોહિણી આચાર્યને મળવા માટે સિંગાપોર પહોંચ્યા હતા. પિતાને વિદેશમાં જોઇને રોહિણી ભાવુક થઇ ગઇ અને તેમને ભેટી પડી હતી સાથે જ કહ્યું હતું કે મારા ભગવાન આવ્યા છે. જ્યારે લાલુ પોતાની પુત્રી માટે સાથે કેરી, લીચી અને લાડવા લઇને પહોંચ્યા હતા.
લાલુ પ્રસાદ યાદવ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી માટે સિંગાપોર પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૨માં સિંગાપોરમાં જ લાલુનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. સિંગાપોર રહેતી પુત્રી રોહિણીએ જ પોતાની એક કિડની પિતાને આપી હતી.















