How Mamata Banerjee Faced Revolt From 58 MLAs In West Bengal : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પોતાના ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. TMCની અંદરનો આ ઘટનાક્રમ રાતોરાત સામે નથી આવ્યો. આની શરૂઆત ત્યારે થઈ જ્યારે મમતા બેનર્જીએ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. આ પછી કોલકાતાની એક હોટલમાં ગુપ્ત બેઠક થઈ અને આગળની વ્યૂહરચના બની ગઈ. હવે આ જૂથ શોભનદેબ ચટ્ટોપાધ્યાયના સ્થાને ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) બનાવવાની માંગ કરી રહ્યું છે.
TMC સામે ઐતિહાસિક સંકટ!
તૃણમૂલ કોંગ્રેસ પોતાના ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. પાર્ટીના ધારાસભ્યોનું એક જૂથ શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા માનવાનો ઈન્કાર કરી રહ્યું છે. શોભનદેબ ચટ્ટોપાધ્યાયને મમતા બેનર્જીએ પોતે આ પદ માટે પસંદ કર્યા છે. 60 બળવાખોર ધારાસભ્યોનું જૂથ ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવા ઈચ્છે છે. પરંતુ મમતાએ ઋતબ્રત બેનર્જીને કથિત રીતે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે TMCમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જોકે આ 60 બળવાખોર ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને જ પોતાના પાર્ટી નેતા તરીકે જોવા માંગે છે.
સ્પીકરને સોંપાયેલા પત્રમાં 58 MLAની સહી
આ બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને જે પત્ર સોંપ્યો છે, તેમાં 58 ધારાસભ્યોની સહી છે, અને અન્ય બે ધારાસભ્યો દ્વારા પણ આ પત્ર પર સહી કરવાની વાત કહેવામાં આવી રહી છે. આ પત્ર સોંપીને જ ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા બનાવવાની માંગ કરી છે. વિધાનસભા ચૂંટણીમાં TMCના 80 ધારાસભ્યો જીત્યા છે, તેથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અલગ જૂથ બનાવવા માટે તેમને નિયમો અનુસાર ઓછામાં ઓછા બે-તૃતિયાંશ એટલે કે, 53 ધારાસભ્યોની જરૂર પડે છે. આ જૂથે પોતાની પાસે 60 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.
TMCની સ્થિતિ આ હદ સુધી કેવી રીતે પહોંચી?
TMCની અંદર ચાલી રહેલી આ રાજકીય હલચલ પાછળ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ જવાબદાર છે. આનું મુખ્ય કારણ ત્યારે સામે આવ્યું, જ્યારે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે તેમને હાંકી કાઢવામાં આવ્યા તે પહેલાં, કથિત રીતે બંને નેતાઓએ વિધાનસભામાં સ્પીકરની ચેમ્બરની અંદર BJP નેતા શુભેન્દુ અધિકારી સાથે 15-20 મિનિટ સુધી બેઠક કરી હતી. આ બેઠકે તરત જ મોટા રાજકીય ફેરબદલની અટકળોને વેગ આપ્યો હતો.
MLAની એકજૂટતાથી તૂટી જશે TMC ?
આ અટકળો એવી શક્યતાઓ પર કેન્દ્રિત હતી કે, TMCના 50-60 ધારાસભ્યોનું એક જૂથ એકજૂટ થઈ શકે છે, અને પાર્ટીથી સત્તાવાર રીતે અલગ થવાને બદલે પોતાને ‘અસલી TMC’ હોવાનો દાવો કરી શકે છે. આ એક એવો ઘટનાક્રમ છે, જેની તુલના રાજકીય વિશ્લેષકો મહારાષ્ટ્રમાં શિવસેના-NCPમાં થયેલા બળવા સાથે કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિધાનસભામાં અચાનક હલચલ તેજ થઈ ગઈ, અને એક પછી એક TMC ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં પહોંચવા લાગ્યા. જોકે કોઈ પણ ધારાસભ્યે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ તેમની હાજરીએ પડદા પાછળની કહાનીને વધુ ઘેરી બનાવી દીધી છે.
આગળ શું થશે?
જો બળવાખોર જૂથ જરૂરી સંખ્યાબળ (53 થી વધુ ધારાસભ્યો) દર્શાવવામાં સફળ રહેશે, તો આ મામલો સ્પીકર સમક્ષ સત્તાવાર દાવો રજૂ કરવાની દિશામાં આગળ વધી શકે છે. હાલમાં ધારાસભ્યોની અચાનક હલચલ એ સંકેત આપે છે કે TMCની અંદર બંધ બારણે કંઈક મોટું રંધાઈ રહ્યું છે. હવે મોટો સવાલ એ છે કે શું આ અટકળો પાર્ટી નેતૃત્વ માટે કોઈ મોટો પડકાર બની જશે?















