![]()
TMC Rebellion Crisis: 23 MPs in Touch with Rebel Group | હાલમાં જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીએ 15 વર્ષ પછી સત્તા ગુમાવવી પડી હતી. આ ચૂંટણીમાં TMCને માત્ર 80 બેઠકો પર જીત મળી હતી. પરંતુ આંચકો ત્યારે લાગ્યો જ્યારે 80માંથી 58 ધારાસભ્યોએ પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતાઓ સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં બળવો પોકાર્યો. આ બળવાખોર જૂથે ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરી દીધા, જેને સ્પીકરે સત્તાવાર માન્યતા આપીને રૂમની ચાવી પણ સોંપી દીધી છે.
23 સાંસદો ઋતબ્રત બેનર્જી જૂથ સાથે સંપર્કમાં: રિપોર્ટ
ધારાસભ્યોના આ મોટા બળવા બાદ હવે દિલ્હી દરબાર એટલે કે સંસદમાં પણ ભંગાણના એંધાણ છે. રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે કે TMCના 23 સાંસદો બળવાખોર જૂથ સાથે જોડાઈ શકે છે, જેમાંથી કેટલાક સાંસદો કેન્દ્ર અને રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી અટકળો છે.
થોડી ધીરજ રાખો, ઘણું બધું થઈ શકે છે: ઋતબ્રત બેનર્જી
TMCમાં ચાલી રહેલા આ હાઇ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે બળવાખોર જૂથના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નવા નેતા ઋતબ્રત બેનર્જીના એક નિવેદને સસ્પેન્સ વધાર્યું છે. શુક્રવારે કોલકાતામાં જ્યારે પત્રકારોએ તેમને 20 સાંસદોના ભાજપમાં જવા અંગે સવાલ પૂછ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે છેલ્લા સાત દિવસથી મારી કોઈ પણ સાંસદ સાથે કોઈ વાતચીત થઈ નથી. તેઓ શું કદમ ઉઠાવશે તે હું અત્યારે કહી શકું નહીં. હું વર્તમાનમાં જીવું છું, કાલે શું થશે તે કોઈ કહી શકતું નથી. બસ થોડી ધીરજ રાખો, ઘણું બધું થઈ શકે છે.
ભલે ઋતબ્રત બેનર્જી સત્તાવાર રીતે વાત ન થઈ હોવાનો દાવો કરતા હોય, પરંતુ રાજકીય સૂત્રોનું માનવું છે કે આગામી અઠવાડિયે TMCમાં મોટું ભંગાણ જોવા મળી શકે છે અને આ 23 સાંસદો દીદીનો સાથ છોડી શકે છે.
કાલીઘાટ પર દીદીની ઈમરજન્સી બેઠક: અસ્તિત્વ બચાવવાની લડાઈ
પાર્ટીમાં ચારેય તરફથી ઘેરાયેલા મમતા બેનર્જી હવે સંપૂર્ણ એક્ટિવ મોડમાં આવી ગયા છે. સ્પીકર દ્વારા બળવાખોર જૂથને માન્યતા આપ્યા બાદ મમતા બેનર્જીએ કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને 5 જૂનની સાંજે 4 વાગ્યાથી એક મોટી બેઠક કરવાના છે. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના તમામ મોટા અને વફાદાર નેતાઓને તાત્કાલિક હાજર રહેવા આદેશ કરાયો છે.
ધારાસભ્યોના બળવા અને હવે સાંસદોના પક્ષપલટાની આશંકા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના ભવિષ્ય પર જ બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. મમતા બેનર્જી સામે આજે સૌથી મોટો પડકાર એ છે કે તેમણે 28 વર્ષ પહેલાં લોહી-પાણી એક કરીને જે પાર્ટી બનાવી હતી, તે પાર્ટીનું નામ અને ચૂંટણી નિશાન બળવાખોરોના હાથમાં જતું કેવી રીતે રોકવું.















