![]()
India-Bangladesh Illegal Migrants Controversy : પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને કાનૂની પ્રક્રિયા બાદ પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે હવે બાંગ્લાદેશમાં વિરોધ શરૂ થયો છે. બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી અને અન્ય ઇસ્લામી સંગઠનોએ ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
12 જૂને વિરોધ કરવાની બાંગ્લાદેશી સંગઠનોની જાહેરાત
આ સંગઠનો 12 જૂને ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક વિવિધ વિસ્તારોમાં માર્ચ અને રેલીઓ યોજશે. આ કાર્યક્રમનું નેતૃત્વ જમાત-એ-ઇસ્લામીના નેતા શફીકુર રહમાન કરશે. તેમાં 11 રાજકીય અને ધાર્મિક સંગઠનો ભાગ લેશે. શેખ હસીના વિરોધી વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલી નેશનલ સિટિઝન પાર્ટી (NCP) પણ તેમાં સામેલ થશે.
15 જૂને ઢાકામાં રેલી-સભા યોજવાની જાહેરાત
સંગઠનોએ 12 જૂને સરહદી જિલ્લાઓ અને ચેકપોસ્ટો પાસે રેલીઓ યોજવાની અને 15 જૂને ઢાકામાં મોટી રેલી અને સભા યોજવાની જાહેરાત કરી છે. ઉપરાંત સેમિનાર અને ગોળમેજ બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : જહાજો પર હુમલા બંધ કરો: ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ
બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડને વધુ મજબૂત બનાવવાની માંગ
NCPના મુખ્ય સંયોજક નસીરુદ્દીન પટવારીએ સરહદ નજીક રહેતા લોકોને ‘હ્યુમન શિલ્ડ’ (માનવ દિવાલ) બનાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે સરહદ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડને વધુ મજબૂત બનાવવાની પણ માંગ કરી છે. જમાત-એ-ઇસ્લામીના નેતા એએચએમ હમીદુર રહમાન આઝાદે દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ મહિનામાં અનેક લોકોને સરહદ પાર મોકલવાના પ્રયાસો થયા છે. તેમણે ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર પણ આરોપ લગાવ્યા છે.
ભારતે બાંગ્લાદેશના તમામ આરોપો ફગાવ્યા
જોકે, ભારત સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. ભારતનું કહેવું છે કે કોઈને જબરદસ્તી મોકલવામાં આવી રહ્યું નથી. માત્ર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનારા વિદેશી નાગરિકોને ઓળખ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ













