વડોદરા, તા.12 વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૯૫૩૩ જેટલા જર્જરિત મકાનો ગમે ત્યારે જાનહાનિ નોતરશે તેવી સ્થિતિ છે. આ મકાનોમાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા અથવા સમારકામ કરાવવાની માત્ર નોટિસો આપી સંતોષ માણે છે.
ઇમારતોના સમારકામની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની નથી એટલું જ નહીં જે જર્જરિત થઈ ગયેલી ઇમારતો હોય તે ચોમાસા પૂર્વે ખાલી કરી દેવામાં આવે તેવી સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે. બોર્ડ દ્વારા અપાયેલી જાહેર નોટિસમાં જણાવ્યું છે કે હાઉસિંગ બોર્ડની વડોદરા કાર્યક્ષેત્રની મિલકતો લાભાર્થીને સોપાયા બાદ તેની કોઈ જવાબદારી બોર્ડની રહેતી નથી. જૂની અને જર્જરિત જણાતી અને ભયજનક હોય તેવી મિલકતોમાં આગામી ચોમાસાની તુને ધ્યાને લઈને વસવાટ બંધ કરી દેવો અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો વૈકલ્પિક વ્યવસ્થા અને મરામત અંગે જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની રહેશે નહીં.
ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂના મકાનો ગમે ત્યારે પડી જાય તેવા છે બોર્ડે જણાવ્યું હતું કે આવા મકાનોની આંતરિક જાળવણી અને કામગીરી જે મકાન ધારક હોય તેમણે જ કરવાની રહે છે તેમજ મિલકતની દેખરેખ અને જાળવણીની ભાગીદારી લાભાર્થીઓ અને એસોસિએશનની રહે છે.
બોર્ડે મકાનમાં રહેતા રહીશો અથવા કબજેદારોને સ્પષ્ટ જણાવ્યું છે કે મકાનો તેમજ સહિયારી મિલકતો જેમાં સ્ટેરકેસ, વોટર ટેંક, કોમન ટેરેસ, પેરાપેટ વગેરેની જવાબદારી બ્લોકના માલિકોની સહિયારી છે. તાજેતરમાં નિરીક્ષણ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ અનેક ઇમારતો ભયજનક જણાઇ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની આ નોટિસથી રહીશોમાં ગભરાટ ફેલાયો છે.
GHBના જર્જરિત થયેલા આવાસોના વિસ્તારોના નામો
વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગોત્રી, નંદેસરી, ગોરવા, તરસાલી, બાપોદ-સંવાદ, નવજીવન સોસાયટી, અકોટા, પ્રતાપનગર, કારેલીબાગ, આજવા સયાજીપુરા, કિશનવાડી ખાતે આવેલા આવાસો જર્જરિત હાલતમાં થઇ ગયા છે. સૌથી વધારે આવાસો ગોરવા વિસ્તારના છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ગોધરા, ભરૃચ અને અંકલેશ્વરના આવાસો પણ જર્જરિત
માત્ર વડોદરામાં જ નહી પરંતુ ભરૃચ અને ગોધરામાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો આવેલા છે જે પણ જર્જરિત હાલતમાં છે. ગોધરામાં ૭૨ તેમજ ભરૃચમાં ૯૮૪ આવાસો છે જે ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ ઉપરાંત અંકલેશ્વરના આવાસોની હાલત રહેવાલાયક નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડે આવા આવાસોમાં રહેતા લોકોને માત્ર નોટિસ આપી સંતોષ માણ્યો છે.















