*દેશ માટે સમર્પિત નેતૃત્વ અને સુશાસનનું પરિણામ:વડાપ્રધાનના નેતૃત્વમાં બાર વર્ષમાં દેશનું બજેટ બમણું થયું પણ ટેક્સમાં ઘટાડો થયો*
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન : ડૉ. મનસુખ માંડવિયા
પોરબંદર, તા. ૧૩ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડો મનસુખ માંડવીયાએ પોરબંદરમાં મીડિયા સાથે સંવાદ કર્યો હતો
કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી ડો મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.તેમણે જણાવ્યું કે વર્ષ 2014 પહેલાં દેશમાં દરરોજ સરેરાશ 9 કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ થતું હતું, જે આજે વધીને 28 કિલોમીટર સુધી પહોંચ્યું છે. તે જ રીતે રેલવે લાઈનના વિસ્તરણની ગતિ પણ વધીને પ્રતિદિન 14 કિલોમીટર સુધી પહોંચી છે. એરપોર્ટ, માર્ગ અને રેલવે નેટવર્કના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે.
સામાજિક સુરક્ષાના ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે 2014 પહેલાં દેશની માત્ર 19 ટકા વસ્તી સામાજિક સુરક્ષાના દાયરામાં હતી, જ્યારે આજે આશરે 64 ટકા વધુ લોકો વિવિધ સુરક્ષા યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે જનધન યોજના અને ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) વ્યવસ્થાના કારણે સરકારી સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થવા લાગી છે, જેના પરિણામે વહીવટી જટિલતા અને મધ્યસ્થીઓની ભૂમિકા ઘટી છે. મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા માળખામાં પણ સુધારા કરવામાં આવ્યા છે.
કૃષિ ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત, મગફળીના પાકની ખરીદી ટેકાના ભાવ (MSP) પર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
વધુમાં તેમણે મહિલા સશક્તિકરણ અંગે વાત જણાવ્યું કે વર્ષ 2023માં સંસદ દ્વારા 33 ટકા મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો થશે.
વિદેશ નીતિ અંગે તેમણે જણાવ્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે. વિવિધ દેશો સાથેના સંતુલિત સંબંધોના કારણે ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો છે.
રોજગારના મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું કે દેશના વિકાસ દરની સાથે રોજગાર સર્જનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રિઝર્વ બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આંકડાઓ મુજબ છેલ્લા દાયકામાં રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે.
પોરબંદર લોકસભા વિસ્તારમાં યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ રોજગાર ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે લગભગ 200 કંપનીઓ સાથે સંકલન કરીને 52 હજારથી વધુ ખાલી જગ્યાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 12 હજારથી વધુ યુવાનો નોંધણી કરાવી ચૂક્યા છે અને વિવિધ કંપનીઓ દ્વારા પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે દેશના વિકાસમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી માર્ગદર્શન હેઠળ “વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ” જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. સાથે જ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સંશોધન પ્રયોગશાળાઓ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઓ અને ખાનગી ક્ષેત્ર માટે પણ ખુલ્લી મૂકવામાં આવી છે.
વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશ આજે મજબૂત અર્થવ્યવસ્થા, ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા અને યુવા શક્તિના બળ પર વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે.
આ દરમિયાન તકે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી વિમલભાઈ કગથરા, પોરબંદર મહાનગરપાલિકા મેયર શ્રી સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિક્રમભાઈ ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડો. ચેતાબેન તિવારી, મહામંત્રી સર્વ શ્રી પ્રવીણ ખોરાવા, પ્રવીણ ઓડેદરા,રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, શ્રી પ્રદીપભાઈ ખીમાણી સહિતના અગ્રણીઓ અને પત્રકારો , હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં















