US Iran peace deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આખરે અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થઈ ગયા છે. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં થયેલી આ મોટી ડીલની પુષ્ટિ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ પેદા થયો હતો. હવે આ કરાર થતાં જ સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ કરારના કારણે સૌથી મોટા અને સારા સમાચાર ભારત માટે સામે આવ્યા છે. ભારતને આ ડીલથી એવો આર્થિક અને વ્યૂહાત્મક ફાયદો થવા જઈ રહ્યો છે, જે યુદ્ધ પહેલા પણ મળવો મુશ્કેલ હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવી લેશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘ઇસ્લામ રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ પૂર્ણ થઈ ગઈ છે. હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ ફ્રી ખોલવાની અને અમેરિકન નાકેબંધી હટાવવાની મંજૂરી આપું છું. હવે વૈશ્વિક સ્તરે જહાજો ફરીથી ફરી શકશે અને ઓઇલનો પ્રવાહ શરૂ થશે.’ ઉલ્લેખનીય છે કે, આ એ જ હોર્મુઝ વિસ્તાર છે જ્યાંથી દુનિયાનો આશરે 20% ઓઇલ અને એલએનજીનો સપ્લાય પસાર થાય છે, જે યુદ્ધ દરમિયાન સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.
ભારતને ઓઇલ માર્કેટમાં થશે મોટો ફાયદો
ભારત પોતાની જરૂરિયાતનું આશરે 80થી 85% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે, જેમાં અખાતી દેશોનો હિસ્સો સૌથી મોટો છે. આ શાંતિ કરાર લાગુ થતાં જ અને ઈરાનનું ઓઇલ ફરી વૈશ્વિક માર્કેટમાં આવવાના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો પરનું દબાણ ઘટશે અને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળશે. આ ઉપરાંત ભારતનું ઓઇલ આયાત બિલ ઘટવાથી દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઓછું થશે અને ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળશે.
આ પણ વાંચો: પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : સંઘ પ્રમુખ મોહન ભાગવત
સસ્તું ઓઇલ અને રૂપિયામાં વેપારની આશા
આ કરારના ડ્રાફ્ટ મુજબ ઈરાનના ઓઇલ નિકાસ પરના પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવામાં આવશે અને તેની ફ્રીઝ થયેલી 25 અબજ ડૉલરની સંપત્તિ પણ મુક્ત કરાશે. ભારત ભૂતકાળમાં ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઇલ ખરીદતું હતું, પરંતુ અમેરિકન પ્રતિબંધોના કારણે આ વેપાર બંધ થઈ ગયો હતો. મહત્ત્વની વાત એ છે કે ઈરાન સાથે ઓઇલનો વેપાર ડૉલરના બદલે રૂપિયામાં થતો હતો. હવે જો પ્રતિબંધો ધીમે-ધીમે હટશે તો ભારત ફરીથી ઈરાન પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી શકશે, જે ભારતીય અર્થતંત્ર માટે બૂસ્ટર સાબિત થશે.
ચાબહાર પોર્ટ પ્રોજેક્ટને મળશે નવજીવન
આ ડીલની બીજી સૌથી મોટી અને હકારાત્મક અસર ભારતના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર પડશે. ઈરાનના ચાબહાર બંદરમાં ભારતે મોટું રોકાણ કરેલું છે, જેના દ્વારા ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધી પહોંચ મેળવે છે. અમેરિકા અને ઈરાનના સંબંધો સુધરતાં ચાબહાર પોર્ટ પરથી અમેરિકન દબાણ દૂર થશે. આનાથી ભારત માટે પોર્ટનો વિસ્તાર કરવો, નવું રોકાણ લાવવું અને વેપાર વધારવો ખૂબ જ સરળ બની જશે. આ સાથે જ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ના કામમાં પણ ઝડપ આવશે.
શાંતિ કરારની મુખ્ય શરતો
1. ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે: ઈરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની નિકાસ પર લદાયેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે.
2. નાણાકીય સંસાધનોનો એક્સેસ: ઈરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેન્કિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ પાછો મળશે.
3. $24 અબજ ડૉલરનું ફંડ મુક્ત કરાશે: 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરાયેલા ઈરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે, જેમાંથી 12 અબજ ડોલર તો વાતચીત શરૂ થતાં પહેલાં જ રીલીઝ કરવા પડશે.
4. ઈરાનનું પુનર્નિર્માણ: અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે.
5. તમામ મોરચે યુદ્ધવિરામ: લેબેનોન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે.
6. સાર્વભૌમત્વનું સન્માન: અમેરિકા ઈરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઇરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે.
7. નૌસૈનિક નાકાબંધીનો અંત: અમેરિકા દ્વારા ઈરાન આસપાસ લગાવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધી 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.
8. અમેરિકન સેના પાછી ખેંચાશે: અમેરિકન સૈન્ય દળો ઈરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે.
9. હોર્મુઝની ખાડી ખુલશે: હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે.
10. 60 દિવસની વાટાઘાટો: પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે.
આ પણ વાંચો: આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત
11. પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન: ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાના પોતાના એનપીટી (NPT – પરમાણુ અપ્રસાર સંધિ)ના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે.
12. સૈન્ય અને પ્રતિબંધો પર રોક: આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઇસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઈરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે.
13. યુએન (UN)ની મંજૂરી: આ શરતોના અમલીકરણ પર નજર રાખવા એક વિશેષ મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે, અને આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે.
14.મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઈરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક ‘રેઝિસ્ટન્સ ગ્રુપ્સ’ (પ્રતિરોધક જૂથો)ને અપાતો સપોર્ટ આ શાંતિ સમજૂતીનો ભાગ નથી.















