![]()
Jamnagar : જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ વાગડિયા ગામમાં રહેતી રૂકસારબેન સબીરભાઈ મુંદ્રાક (ઉ.વ. 27)એ ફરિયાદ નોંધાવી છે કે લગ્નજીવન દરમિયાન તેના પતિ આસીફ અસરફભાઈ ગબોલ, સસરા અસરફભાઈ હમીરભાઈ ગબોલ, સાસુ યાસમીનબેન અસરફભાઈ ગબોલ તથા નણંદ અમરીન રહીમભાઈ દ્વારા ઘરકામની નાની-નાની બાબતોમાં સતત હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ દ્વારા અનેક વખત મારકૂટ કરવામાં આવતી હતી, જેના કારણે તેણી અનેક વખત રીસામણે પોતાના પિયર જતી રહી હતી. જોકે પરિવારજનોના સમાધાન બાદ ફરી સાસરીએ પરત ફરતી હતી. તેમ છતાં સાસરીયાઓનું વર્તન બદલાયું ન હોવાનું અને વારંવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી સતત ત્રાસના કારણે તે પોતાના પિયર રહેવા મજબૂર બની છે. સાસરીયા પક્ષના તમામ સભ્યો દ્વારા ઘરકામના મુદ્દે અવારનવાર હેરાન-પરેશાન કરી માનસિક અને શારીરિક દુઃખ પહોંચાડવામાં આવતું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.
આ બનાવ અંગે પંચ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ આસીફ અસરફભાઈ ગબોલ, સસરા અસરફભાઈ હમીરભાઈ ગબોલ, સાસુ યાસમીનબેન ગબોલ તથા નણંદ અમરીન રહીમભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 115(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.















