Ahmedabad News: છેલ્લા કેટલાય વખતથી ગુજરાત સહિત દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલીકની ઘટનાઓ બની રહી છે. નીટની પરીક્ષામાં અસફળ થવાની બીકે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે. આ જ સપ્તાહમાં અમદાવાદમાં પણ એક ઘટના બની હતી. માનસિક દબાણ, પરીક્ષા કૌભાંડ અને ભવિષ્યની અનિશ્ચિતતાને લીધે વિદ્યાર્થીઓ માનસિક તણાવનો શિકાર બન્યા છે. દુ:ખની વાત તો એ છે કે, આ અસહ્ય દબાણ હવે વિદ્યાર્થીઓના સપનાં જ નહીં, તેમનું જીવન પણ છિનવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું છે.
2019 થી 2024 સુધી વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસોમાં 16 ટકાનો વધારો
વિદ્યાર્થીઓના તૂટી રહેલા સપનાઓ અને વધતી નિરાશા પાછળ નિષ્ફળ સરકારની નીતિઓ, પેપર લીક, પરીક્ષા કૌભાંડ અને પરીક્ષા ઉત્તિર્ણ કરવાનું અસહ્ય દબાણ અને બેરોજગારી માટે મુખ્ય જવાબદાર પરિબળ રહ્યાં છે. ગુજરાતમાં વર્ષ 2020-21 માં 151, વર્ષ 2022-23 માં 161, વર્ષ 2023-24માં 183 અને વર્ષ 2024-25માં 568 વિદ્યાર્થીઓની આત્મહત્યા કરી. જે ચિંતાજનક બાબત છે. વર્ષ 2019 થી 2024માં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસોમાં લગભગ 16 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો
કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ માત્ર આંકડા નથી. આ દરેક આંકડાની પાછળ એક પરિવારનો આક્રંદ, એક માતા-પિતાનું તૂટેલું સ્વપ્ન અને એક યુવાનનું અધૂરું ભવિષ્ય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં અનેક પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને કૌભાંડો સામે આવ્યા છે. દરરોજ સરેરાશ પાંચથી વધુ યુવાનો માત્ર પરીક્ષામાં નિષ્ફળતાને કારણે મોતને ભેટી રહ્યા છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરે, પરિવારો લાખો રૂપિયાની ફી ભરે અને અંતે તંત્ર-સિસ્ટમ જ દગો કરે તેનાથી મોટી કરુણતા શું હોઈ શકે. આ ઉપરાંત ડિગ્રી મેળવ્યા પછી પણ નોકરીની કોઈ ખાતરી નથી.

આ પગલા ખુબ જ જરૂરી
પરીક્ષા કૌભાંડો માટે જવાબદાર સામે કાર્યવાહી થતી નથી. પરીક્ષા પ્રણાલી સુધારવા માટે પગલાં લેવાતાં નથી ત્યારે પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે કડક અને વિશેષ કાયદો બનાવવામાં આવે, શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત માનસિક આરોગ્ય સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.















