સ્વૈચ્છિક રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા નિયમિત રક્તદાન ઝુંબેશ જરૂરી
ભાવનગર તા.૨/૭/૨૦૨૬
ભાવનગર સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આજે સેવાભાવી ઉદ્યોગકાર દ્વારા ૧૩૩મી વખત સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું. તેમના આ અવિરત સેવાયજ્ઞને બિરદાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રવિણભાઈ ગાબાણી વર્ષોથી નિયમિત રક્તદાન કરીને અનેક દર્દીઓને નવજીવન આપવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવાભાવના સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
આ પ્રસંગે ભાવનગર રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠક્કરનું પણ પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સુમિતભાઈ ઠક્કર આરોગ્ય સેવા અને ખાસ કરીને સ્વૈચ્છિક રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા તેમજ નિયમિત રક્તદાન અભિયાનનું સફળ આયોજન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે સમાજમાં આવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવાથી વધુ લોકો માનવસેવાના કાર્યો સાથે જોડાવા માટે પ્રેરાય છે. રક્તદાન એ મહાદાન છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરીને જરૂરિયાતમંદોને જીવનદાન આપવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવું જોઈએ.
કાર્યક્રમ દરમિયાન રેડક્રોસની ટીમ, રક્તદાતાઓ, સામાજિક કાર્યકરો અને પ્રેરણા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.















