કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું
કોટે મોર ટહુક્યા, વાદળ ચમકી વીજ, રુદાને રાણો હાંભર્યો, આવી આષાઢી બીજ
*કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, પૂજ્ય શ્રી મોરારી બાપુ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ*
ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ૧૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ નીકળ્યાં
નગરચર્ચાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનાં દર્શન માટે ભાવેણુ ભક્તિમય બન્યું: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૪૧મી રથયાત્રાને પહિંદ વિધિ બાદ કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરવાયું હતુ.
“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’”ના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેના નિજ મંદિરેથી નિકળ્યાં હતા. શહેરનાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા અને પૂજ્ય સંત શ્રી મોરારી બાપુએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભગવાન પોતે નગરજનોનાં ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવેણુ ભક્તિમય બન્યું છે અને ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા ૪૦ વર્ષથી અષાઢી બીજનાં રોજ દેશની ત્રીજા ક્રમની અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં યોજાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા યોજાઇ રહી છે.
સુભાષનગર ભગવાનનાં મંદિર સામેથી રથની પૂજા, અર્ચન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો.
રથયાત્રાને માજી સૈનિકોએ સલામી આપીને પ્રારંભ કરાવ્યો હતો, ત્યારબાદ અવનવા પ્લોટસ રથયાત્રામાં જોડાયા હતા.
રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન ભાવનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રકને રથયાત્રામાં જોડવામાં આવ્યા છે. રથયાત્રા સાથે ફોરેસ્ટ, આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ., ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ તથા બી.એસ.એફ, સી.આર.પી.એફ. જવાનો જોડાયા છે. આ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.
આ રથયાત્રાને સફળ બનાવવા માટે શ્રી હરુભાઇ ગોંડલીયાએ અભિનંદન આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિના નિજ મંદિર પરત ફરશે.
આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયરશ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કિશનભાઈ મહેતા, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી, મહાનગરપાલિકા કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે, આગેવાન શ્રી કુમાર શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
–
રિપોર્ટર નરેશભાઈ ડાંખરા ભાવનગર














