ભૂલકાઓ પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળા-આંગણવાડીમાં
સગવડતાઓ સુનિશ્ચિત કરવા સૂચન
તાજેતરમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક માર્ગો પાણીથી ક્ષતિગ્રસ્ત થયાં છે. આ માર્ગો તરત જ મોટરેબલ બને તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત રિપેરિંગ અને સમારકામ હાથ ધરી તમામ રસ્તાઓ નાગરિકો માટે ખુલ્લા રહે અને વાહનવ્યવહારની કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રત્યે લક્ષ આપી અને કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ કડીમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગો કે પૂલો ઝડપથી રિપેર થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યૂઅલ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લાના વિવિધ રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો.

નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રી સમક્ષ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ભાવનગર-રાજકોટ, નેશનલ હાઈવે (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરિટાઈમ બોર્ડ, મત્સ્યોદ્યોગ અને નગરપાલિકા હસ્તકના પુલોની વિગતો રજૂ કરી હતી.

આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી પરેશ રાજપુરાએ જિલ્લામાં આંગણવાડીની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧,૧૬૬ આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. ૫૯૮ ગ્રામીણ આંગણવાડી અને ૪૩ શહેરી આંગણવાડી પોતાના મકાનમાં સ્થિત છે. જ્યારે ૨૭૧ ગ્રામીણ અને ૨૫૪ શહેરી આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત છે. પોતાના મકાન ન ધરાવતા આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૮૨ આંગણવાડી કેન્દ્રો પર દરખાસ્ત, ટેન્ડરિંગ, વર્ક ઓર્ડર સહિતનું આયોજન થઈ ગયું છે અને ૧૯ આંગણવાડી કેન્દ્રો પર પ્લિન્થ, સ્લેબ, લિન્ટલ, ફિનિશિંગ લેવલ પર કામ પ્રગતિમાં છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર તેમજ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને નગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.















