![]()
ખમીદાણાના 6 માસથી ગુમ વૃધ્ધાની હત્યા- લૂંટનો ભેદ ઉકેલાયો : ગામનો જ શખ્સ શકમંદ હોવાની બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં કૂવામાંથી અવશેષો મળ્યા
જૂનાગઢ, : કેશોદ તાલુકાના ખમીદાણાના વૃધ્ધા છ માસથી ગુમ હતા. પોલીસે બાતમીના આધારે ગામના જ એક શખ્સની શકમંદ તરીકે પૂછપરછ કરતા તેણે કબુલ્યું કે વૃધ્ધા પર દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ પ્રતિકાર કરતાં ગળું દબાવી હત્યા કરી લાશને કોથળામાં નાખી અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી. પોલીસે આ કૂવામાં તપાસ કરતાં ત્યાંથી હાડકાં તેમજ કરોડરજ્જુ સહિતના અવશેષો મળી આવ્યા છે. વૃધ્ધાએ દાગીના પહેર્યા હતા તેમજ રોકડ પણ હતી, જે ગુમ હોવાથી પોલીસે હત્યા-લૂંટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ખમીદાણા ગામમાં રહેતા સુમરીબેન રામદેભાઈ બારીયા (ઉ.વ. 65) નામના વૃધ્ધા ગત જૂન માસમાં ઘરેથી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઘરેથી નીકળ્યા હતા, બાદમાં ઘરે પરત આવ્યા ન હતા. પરિવારજનોએ તપાસ કરવા છતાં સુમરીબેનનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે જાણવા જોગ દાખલ કરી વૃધ્ધાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ગુમ વૃધ્ધાની કોઈ ભાળ મળી ન હતી. જે તે સમયે કોળી સમાજે મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
આ દરમ્યાન રેન્જ આઈ.જી. કચેરીની સ્ક્વોડના સ્ટાફને ખમીદાણાનો મહેશ નામનો શખ્સ શકમંદ હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આ શખ્સની કડક પૂછપરછ કરતાં તે પોપટ બની ગયો હતો.
કેશોદના ઇન્ચાર્જ એ.એસ.પી. ડાગરે જણાવ્યું હતું કે મહેશ મુકેશ વ્યાસ નામના શખ્સે વૃધ્ધા પર દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. વૃધ્ધાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં મહેશે ગળું દબાવી તેની હત્યા કરી લાશને કોથળામાં ભરી ગામ નજીક આવેલા એક અવાવરૂ કૂવામાં ફેંકી દીધો હતો એવી તેણે કબૂલાત આપી છે. પોલીસને કૂવામાંથી હાડકાં, કરોડરજ્જુ સહિતના અવશેષો મળ્યા છે. હાલ હત્યા-લૂંટ અંગેની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. છ માસથી ગુમ થયેલા વૃધ્ધાની ગામના જ શખ્સે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધાનો ખુલાસો થતા વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ હતી.














