![]()
Surat Corporation : સુરત મ્યુનિ. કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે સુચવેલા બે ફ્લાય ઓવરબ્રિજ ગાયબ થઈ ગયા હતા. બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે ફીજીબીલીટી રિપોર્ટના નામે બ્રિજ ગાયબ કરી દીધા હતા અને રિપોર્ટ નેગેટિવ હતો તેવી જાણ શુધ્ધા સ્થાયી અધ્યક્ષને કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે આવતીકાલે બજેટ સ્થાયી સમિતિમાં ચર્ચા થાય તે પહેલાં અધિકારીઓ સાથેની બેઠકમાં સ્થાયી અધ્યક્ષે બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરની ઝાટકણી કાઢી હતી.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યા સતત વધારો થઈ રહ્યો છે અને આ સમસ્યા નિવારવા માટે કોર્પોરેટરો પાસે સુચન મંગાવ્યા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષને સૂચન મળ્યા હતા જેથી સ્થાયી અધ્યક્ષે અખંડ આનંદ કોલેજથી ડભોલી ચાર રસ્તા સુધી અને વાલક પાટીયા પાસે સૂચિત ફ્લાય ઓવર બનાવવા માટે સૂચન કર્યું હતું. આ બ્રિજ માટે સ્થાયી અધ્યક્ષે સૂચન કર્યું હોવા છતાં મ્યુનિ. કમિશ્નરે જાહેર કરેલા બ્રિજ નિકળી ગયા હતા.
સ્થાયી અધ્યક્ષે બજેટમાં આ બે બ્રિજ ગાયબ હતા તેથી તપાસ કરી હતી અને આજે સીટી ઈજનેર ભગવાગર, બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેર જયાંગ જીવન રામજીવાલા અને કાર્યપાલક ઈજનેર રાકેશ મોદીને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ બોલાવ્યા હતા. તેમની સાથેની ચર્ચા દરમિયાન બ્રિજ કઈ રીતે ગાયબ થયા તે પૂછતા ભગવાગરે મને હાલ ચાર્જ મળ્યો છે તેવું કહ્યું હતું. ત્યારબાદ જીવન રામજીવાલાએ આ બ્રિજ માટે ફીજીબીલીટી રિપોર્ટ ન હોવાની વાત કરી હતી. જોકે, આ અંગે બ્રિજ સેલના અધિકારીએ સ્થાયી અધ્યક્ષને જાણ શુધ્ધા કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે રાજન પટેલે બ્રિજ વિભાગના કાર્યપાલક ઈજનેરની ઝાટકણી કાઢી હતી.
પૂર્વ કમિશનર ગુડ બુકની યાદીમાં જીવન રામજીવાલા હોવાથી તેઓ કોઈ અધિકારી કે પદાધિકારીને ગણતા ન હતા જેના કારણે અનેક વખત વિવાદમાં પણ આવી ચુક્યા છે. પરંતુ મ્યુનિ. કમિશ્નરની નજીક હોવાથી તેમને આંચ આવતી ન હતી પરંતુ મ્યુનિ. કમિશનરની બદલી બાદ પણ તેઓ સુપર કમિશ્નર હોય તેવી રીતે વર્તતા હોવાથી આજે સ્થાયી અધ્યક્ષની ઝપેટમાં આવી ગયા હતા અને સ્થાયી અધ્યક્ષે ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા છે અને ભવિષ્યમાં વધી શકે છે તેથી ભવિષ્યની સમસ્યાને ધ્યાને રાખી કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.















