![]()
બગસરાના મોટા મુંજીયાસર ગામે પિતાને બચાવવા પડેલી પુત્રીને પણ મારકૂટઃ ઝપાઝપીમાં આરોપી તથા તેની માતા પણ ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા
અમરેલી,બગસરા, : બગસરા પંથકમાં આવેલ મોજા મુંજીયાસર ગામે ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારમાં ચા બનાવવા જેવી તદ્દન સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા, આંગળિયાત પુત્રએ આવેશમાં આવી જઇને પોતાના સાવકા પિતાની ઘાતકી હત્યા કરી નાખતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના સુખપુર ગામના વતની અને હાલ બગસરાના મોટા મુંજીયાસર ગામે કિશોરભાઈ પટોળિયાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતાં રમણભાઈ વાલકાભાઇ કટારા (ઉ.વ. 46) પોતાના પરિવાર સાથે રહેતા હતાં. આ પરિવારમાં રમણભાઈની પત્ની સીતાબેનનો આંગળિયાત પુત્ર સુરેશ મછારા પણ સાથે રહેતો હતો. પરિવારમાં ચા બનાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જો કે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આંગળિયાત પુત્ર સુરેશ મછારા ઉશ્કેરાઇ ગયો હતો અને પિતા રમણભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી સુરેશે રમણભાઈને માથાના ભાગે બોથડ પદાર્થનો જોરદાર ઘા ઝીંકી દેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પિતાને બચાવવા માટે પુત્રી અસ્મિતા વચ્ચે પડી હતી અને પિતાને છોડાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ હત્યારા સુરેશે તેને પણ માર મારતા તે ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઝપાઝપીમાં આરોપી સુરેશ અને તેની માતા સીતાબેનને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક રમણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરા હોસ્પિટલે ખસેડયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સુરેશ અને તેની માતા સીતાબેનને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. હાલ પોલીસે આ હત્યાની ઘટના અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
















