વડોદરાઃ વડોદરા કે ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારતના જૈન સમાજમાં વડોદરાના છાણી ગામે દરેક જૈન પરિવારમાંથી સાધુ-સાધ્વી ભગવંતોને અર્પણ કરી આગવી શાખ ઉભી કરી છે.
વડોદરા પાસે આવેલા છાણી ગામને હવે કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યું છે. છાણીમાં જૈન સમાજના ૨૦૦ જેટલા પરિવારો રહે છે અને ૧૬મા તીર્થિંકર શાંતિનાથ ભગવાનનું જિનાલય આવેલું છે.છાણી ગામના જૈન સમાજની વિશેષતા એ છે કે ત્યાંની ભૂમિએ સૌથી વધુ સાધુ-સાધ્વી ભગવંતોને આપ્યા છે.
ગામના વડીલો અને જૈનાચાર્યોનું કહેવું છે કે,છાણીનું કોઇ જૈન પરિવાર એવું નહિં હોય કે જેના ઘરમાંથી કોઇ દીક્ષાર્થી નહિ હોય.અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી છે.જેમાં ૧૮ તો આચાર્યો બન્યા છે.
જૈન સમાજ માટે આગવી શાખ સમાન છાણી ગામમાં ૧૦ વર્ષ બાદ ફરી દીક્ષાનો મહોત્સવ આવતાં ભાવિકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.આજે ઉચ્ચ શિક્ષિત અને ટેલેન્ટેડ યુવાઓ કરિયર બનાવવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે ઇલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં એન્જિનિયર થનાર ધર્મેશ શાહ અને શિલ્પબેનની પુત્રી વિશ્વાએ સંસાર નહિ માંડવાનું નક્કી કરી દીક્ષા લેવાનો નિર્ણય કરતાં માતા- પિતા અને પરિવારજનોએ તેનો સ્વીકાર કર્યો છે.
આવતીકાલથી ત્રણ દિવસ માટે પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)ની નિશ્રામાં વિશ્વાની દીક્ષાનો કાર્યક્રમ શરૃ થનાર છે.જેમાં તા.9મીએ સવારે વર્ષીદાનનો વરઘોડો નીકળશે.તા.10મીએ શક્રસ્તવ અભિષેક,શ્રણણીવંદના, અંતિમ વાયણા,મુમુક્ષુ આગમન જેવા કાર્યક્રમો અને તા.11મીએ સવારે દીક્ષા નો કાર્યક્રમ યોજાશે.
વિદેશોની સફર કરનાર વિશ્વાને રીવર રાફ્ટિંગ અને ટ્રેકિંગનો ભારે શોખ હતો
વિશ્વાએ એક જ ઝાટકે ભૌતિક સુખો છોડી કહ્યું,મારે તો શાશ્વત સુખ માણવું છે
સાધન સંપન્ન પરિવારની એન્જિનિયર દીકરી વિશ્વા માટે ભૌતિક સાધનોમાં સુખ મળતું નથી.
વિશ્વાના પિતા ધર્મેશ શાહ પોલીટેકનિક કોલેજમાંથી નિવૃત્ત થયા છે અને હવે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છે.માતા-પિતાના સંસારમાં બે પુત્રીઓ છે અને તેમાં વિશ્વાની મોટી બહેનના લગ્ન થઇ ગયા છે.અન્ય યુવક- યુવતીઓની જેમ વિશ્વા મોજશોખ ધરાવતી હતી.પરંતુ સાથેસાથે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ વ્યસ્ત રહેતી હતી.
અનેક દેશોમાં ફરી ચૂકેલી વિશ્વાને રીવર રાફ્ટિંગ અને ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિનો ખૂબ શોખ હતો.પરંતુ બધું એક જ ઝાટકે છોડી દેવા તૈયાર થઇ છે.માતા-પિતાએ લગ્નની વાત કરતાં તેણે કહ્યું હતું કે,આ સંસાર અસાર છે.મારે શાશ્વત સુખ માટે દીક્ષા લેવી છે.
શાંતિનાથ ભગવાનના જિનાલયમાં લોકો નિર્વિધ્ને દીક્ષા માટે માનતા રાખે છે
માત્ર છાણીના જ નહિ પણ અન્ય શહેરના દીક્ષાર્થીઓ પણ અહીં દીક્ષા લેવા આવે છે
છાણીના શાંતિનાથ ભગવાનના ૧૩૧ વર્ષ પુરાણા જિનાલયમાં નિર્વિધ્ને દીક્ષા લેવાય તેની માનતા માટે લોકો આવતા હોય છે.
જૈન સમાજમાં દીક્ષા લેવા તૈયાર હોય તેવા અનેક લોકોને આસાનીથી દીક્ષા મળતી નથી અને તે માટે વિધ્નો આવતા હોય છે.
જેથી દીક્ષા લેવી હોય તેવા લોકો ૧૬ મા તીર્થંકર શાંતિનાથ ભગવાનના શરણમાં આવતા હોય છે.માત્ર છાણીના જ નહિ પણ અન્ય શહેરોના દીક્ષાર્થીઓએ પણ છાણીની ભૂમિને દીક્ષા માટે પસંદ કરી હોવાના કિસ્સા છે.















