Indian Gold Reserve: દુનિયામાં ઊભી થયેલી અસ્થિરતા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ભડકો થયો છે, ત્યારે સોનું વર્ષોથી ભારતીયો માટે રોકાણનું અતૂટ અને વિશ્વાસપાત્ર સાધન રહ્યું છે. માર્ગન સ્ટેનલ અને WGC (વર્લ્ડ ગોલ્ડન કાઉન્સિલ)ના રિપોર્ટ પ્રમાણે ભારતીય પરિવારો પાસે આશરે 34,600 ટન સોનું પડ્યું છે, જે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોના કુલ ભંડાર કરતાં પણ વધુ છે. આ જથ્થો વિશ્વના કુલ સોનાના આશરે 11% થી 13% જેટલો હિસ્સો ધરાવે છે, જે ભારતીય અર્થતંત્રમાં સોનાના દબદબાને દર્શાવે છે.
કયા દેશ પાસે કેટલું સોનું?
દુનિયામાં સૌથી મોટો રાષ્ટ્રીય (સરકારી) ભંડાર અમેરિકા પાસે છે, જે 8,133.5 ટન છે અને તેને ‘ફોર્ટ નોક્સ’માં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. જર્મની 3,350.3 ટન સાથે યુરોપમાં મોખરે છે. ત્યારબાદ ઈટાલી (2,451.8 ટન), ફ્રાન્સ (2,437 ટન), રશિયા (2,332.7 ટન) અને ચીન (2,305.4 ટન)નો ક્રમ આવે છે. ભારત સરકાર પાસે સત્તાવાર રીતે 880.2 ટન સોનું છે, પરંતુ દેશના સામાન્ય લોકો અને પરિવારો પાસે રહેલું સોનું (34,600 ટન) સમગ્ર વિશ્વમાં સર્વોપરી છે. જે દુનિયાના કોઈપણ દેશના સત્તાવાર રાષ્ટ્રીય ભંડાર કરતા ઘણું વધારે છે. આ આંકડો એટલો મોટો છે કે તે અમેરિકા જેવા શક્તિશાળી દેશના સરકારી ભંડાર કરતા પણ ચાર ગણો વધુ છે. ત્યારે જાણો કે ભારતમાં કયા મંદિર માટે કેટલો સોનાનો ભંડાર છે.
પદ્મનાભસ્વામી મંદિર (કેરળ)
તિરુવનંતપુરમમાં આવેલું આ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. વર્ષ 2011માં જ્યારે તેના ગુપ્ત ભોંયરાઓ ખોલવામાં આવ્યા ત્યારે દુનિયા દંગ રહી ગઈ હતી. અહીં આશરે ₹1.2 લાખ કરોડનું સોનું, હીરા અને ઝવેરાત હોવાનું અનુમાન છે, જેમાં રોમન સામ્રાજ્યના સિક્કા અને 18 ફૂટ લાંબી સોનાની ચેઈનનો પણ સમાવેશ થાય છે.
તિરુપતિ બાલાજી (આંધ્રપ્રદેશ)
ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર દાનની દ્રષ્ટિએ મોખરે છે. મંદિરની કુલ નેટવર્થ ₹3 લાખ કરોડથી વધુ અંકાય છે. બેંકોમાં 10.25 ટન સોનું જમા છે અને અઢી ટન જેટલા પ્રાચીન સોનાના આભૂષણો ભગવાનના શણગારમાં વપરાય છે.
વૈષ્ણો દેવી મંદિર (જમ્મુ)
માતા રાણીના ચરણોમાં ભક્તોએ છેલ્લા બે દાયકામાં 1800 કિલો સોનું અને 4700 કિલો ચાંદી અર્પણ કરી છે. આ મંદિર પાસે રોકડ અનામતનો ભંડાર પણ ખૂબ મોટો છે.
સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ)
ગણપતિ બાપ્પાના આ મંદિરનો ગુંબજ જ 3.7 કિલો સોનાથી મઢાયેલો છે. મંદિર પાસે 150 કિલોથી વધુ સોનું છે અને દર વર્ષે સરેરાશ ₹150 થી ₹200 કરોડનું દાન આવે છે.
શિરડી સાઈ બાબા મંદિર (મહારાષ્ટ્ર)
સાઈ બાબાના દરબારમાં આશરે 380 કિલો સોનું અને 4,000 કિલો ચાંદીનો સંગ્રહ છે. આ ઉપરાંત, મંદિર ટ્રસ્ટ પાસે બેંકોમાં કરોડો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પણ છે.
સુવર્ણ મંદિર (અમૃતસર)
શીખ ધર્મના આ પવિત્ર સ્થાનની મુખ્ય ઇમારત પર જ 500 કિલો શુદ્ધ સોનાનું પડ ચઢાવેલું છે. સમય જતાં ભક્તો દ્વારા મળતા દાનથી તેનું નવીનીકરણ કરવામાં આવે છે.
સોમનાથ મંદિર (ગુજરાત)
ગુજરાતનું ગૌરવ એવા સોમનાથ મંદિરના મુખ્ય શિખર પર 140 કિલોથી વધુ સોનું જડિત છે. આ મંદિર તેની ઐતિહાસિક સંપત્તિ અને ભવ્યતા માટે જગવિખ્યાત છે.
ગુરુવાયુર મંદિર (કેરળ)
ભગવાન કૃષ્ણના આ મંદિરમાં 270 કિલો સોનું અને બેંકમાં અંદાજે ₹2,500 કરોડની રોકડ રકમ જમા છે.
આ પણ વાંચો: ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા
જગન્નાથ મંદિર (પુરી)
ઓડિશાના આ મંદિરમાં ‘સુના ભેસા’ ઉત્સવ દરમિયાન ભગવાનને 200 કિલો સોનાના આભૂષણો પહેરાવવામાં આવે છે. મંદિરના ભંડારમાં સેંકડો કિલો સોનું-ચાંદી સુરક્ષિત છે.
મીનાક્ષી અમ્મન મંદિર (મદુરાઈ)
દક્ષિણ ભારતનું આ સ્થાપત્ય રત્ન અતિ પ્રાચીન સોનાના આભૂષણો અને કિંમતી રત્નો ધરાવે છે. મંદિરની કોતરણી અને માળખામાં પણ સોનાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયેલો જોવા મળે છે.















