![]()
ધનાઢ્ય-વગદાર નેતાઓના નહીં, મોદી-પક્ષના નામે ચૂંટણી લડાશે શહેર ભાજપનું વજન ઘટયું, પ્રદેશમાંથી બધા નિર્ણયોઃ દાવેદારોને પડતા મુકાતાં આંતરિક વિવાદ જારી, હવે મનપા ટિકિટ માટે પણ નવા નિયમો
રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આમ તો અત્યારે જાહેર થઈ જવી જોઈએ પરંતુ, એક તરફ મનપાના બજેટ અને બીજી તરફ ભાજપના સંગઠનની રચના બાકી છે ત્યારે એસ.આઈ.આર.ના મુદ્દે આ વર્ષે ચૂંટણી ફેબુ્રઆરીને બદલે એપ્રિલમાં યોજાવાની શક્યતા છે. આ સ્થિતિમાં 10 મહિનાના ઈંતજાર બાદ રાજકોટ ભાજપનું નવુ સંગઠન જાહેર કરાયું તેમાં એક-બેને બાદ કરતા તમામ નવા ચહેરાઓને પદ આપી દઈ મોટામાથાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે. સૂત્રો અનુસાર આગામી મનપા ચૂંટણીમાં પણ વગદાર દાવેદારોના પત્તા આ રીતે કપાય તેવી શક્યતા છે.
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જાહેર કરેલા નામો મૂુજબ મહામત્રી પદે વલ્લભ દુધાત્રા, લલિત જે.વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાને સ્થાન અપાયું છે. પૂર્વ ડે.મેયર દુધાત્રા અગાઉ 2013-16માં પણ મહામંત્રી પદે હતા. આ સિવાયના તમામ નવા ચહેરા છે. 21ની ટીમમાં કોષાધ્યક્ષ મયુર શાહને જ રીપીટ કરાયા છે.
આ જાહેરાત સાથે ભાજપમાં આંતરિક વિરોધ ઉઠી રહ્યો છે. ગેલાભાઈ રબારી સહિત નવા હોદેદારો સામે અગાઉ ફરિયાદો પણ ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે આવી પક્ષમાં આંતરિક ખેંચતાણના પગલે આ નિમણુકો મહિનાઓથી ટલ્લે ચડી હતી અને એક સમયે ભાજપનું એપી સેન્ટર ગણાતા રાજકોટ ભાજપનું સંગઠન નિયુક્તિ વગર જ ચાલ્યું હતું. મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના પદો માટે શહેર ભાજપના વગદાર જૂથોએ સેન્સમાં અને પ્રદેશમાં સીધી રજૂઆતો પણ કરી હતી પરંતુ, પહેલા રાજ્ય સરકારમાંથી, પછી પ્રદેશ ભાજપમાંથી રાજકોટના નેતાઓના પત્તા કાપ્યા બાદ હવે શહેર સંગઠન પણ નેતાઓની રજૂઆત વિરૂધ્ધ અને તે પણ ચૂંટણી ટાણે સીધા પ્રદેશમાંથી જાહેર કરીને પક્ષે ચૂંટણી પક્ષ પર પ્રભુત્વ જમાવી સ્વહિત સાધતા નેતાઓના નામે નહીં પણ મોદી-પક્ષના નામે ચૂંટણી લડશે. હવે મહાપાલિકાની ચૂંટણીમાં મનપાના અનેક પદાધિકારીઓના પત્તા કપાય તેવી સંભાવના છે.















