![]()
ચોટીલાની ટોળકીએ ઘણાં મુસાફરોને નિશાન બનાવ્યાની શકયતા
રૂા.૭ લાખનો ઢાળિયો અને રોકડ રકમ કબજે, આરોપીઓમાં દંપતી, સાઢુભાઈ અને સાસુનો સમાવેશ
રાજકોટ: ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરોના કિંમતી માલ-મત્તાની ચોરી કરતી ચોટીલાની ટોળકીના ચાર સભ્યોને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લીધા છે. આ ટોળકીએ ઘણાં પેસેન્જરોને નિશાન બનાવ્યાની શક્યતા પોલીસે દર્શાવી છે. જોકે તેમાંથી જૂજ કિસ્સાઓમાં જ ફરિયાદો નોંધાઈ છે.
ઝડપાયેલા આરોપીઓમાં કિરીટ જેન્તી બુટીયા, તેના પત્ની ભારતી ઉર્ફે ગુડ્ડી, સાઢુ રણજિત પ્રતાપભાઈ ઓગાણિયા અને સાસુ હંસાબેનનો સમાવેશ થાય છે. આ ટોળકીએ સુરતથી જામકંડોરણા જતી ધરતી ટ્રાવેલ્સની બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી જામકંડોરણા પંથકની મહિલા મુસાફરના કિંમતી દાગીના તફડાવી લીધા હતા. જે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
સીસીટીવી કેમેરાના આધારે એલસીબીના પીઆઈ વી. વી. ઓડેદરા અને પીએસઆઈ એચ.સી. ગોહિલ સહિતની ટીમે ચારેય આરોપીઓને ઝડપી લઈ રૂા.૭ લાખની કિંમતનો સોનાનો ઢાળિયો, રૂા.૮૩૦૦ રોકડા, મોબાઈલ ફોન કબજે કર્યો હતો.
પૂછપરછમાં આ ટોળકીએ એકાદ માસ પહેલાં મોરબીથી સુરત જતી વર્ણીરાજ ટ્રાવેલ્સની બસમાં તારાપુર ચોકડીથી બેસી એક પેસેન્જરના થેલામાંથી રૂા.૩૦ હજાર ચોરી લીધાની પણ કબુલાત આપી છે.
એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે આ ટોળકી બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી ગયા બાદ રાતના સમયે જયારે મુસાફરો ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેમના થેલા કે બેગમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની કોઈપણ મત્તા મળે તે ચોરી ચોટીલા ઉતરી જતી હતી. આ ટોળકીએ ઘણાં મુસાફરોને ભોગ બનાવ્યાની શકયતા છે પરંતુ બહુ ફરિયાદો નહીં નોંધાયાનું જણાય છે.
















