![]()
છ
મહિના સુધી લારી પરત નહીં કરતા લારીધારકોના ધંધા-રોજગાર ઠપ્પ
મનપા
પાસે જપ્ત કરેલી લારીઓનો હિસાબ જ નથી ઃ તંત્રની ‘લોલંલોલ‘નીતિને કારણે
ભ્રષ્ટાચાર-ગેરવહીવટના આક્ષેપ
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના દબાણ વિભાગની કામગીરી સામે આજે શાકભાજી
અને ફ્રૂટના નાના વેપારીઓએ મોરચો માંડયો હતો. શહેરના મુખ્ય માર્ગો અને પોપટપરા ટાંકી
ચોક જેવા વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવેલી લારીઓ લાંબા સમય સુધી પરત ન અપાતા લારીધારકોના
ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે, જેને લઈને આજે પાલિકા કચેરી ખાતે
ભારે હોબાળો મચ્યો હતો.
વેપારીઓની
ફરિયાદ છે કે દબાણ શાખા દ્વારા લારીઓ જપ્ત કર્યા બાદ છેલ્લા છ મહિનાથી તે પરત
કરવામાં આવતી નથી. જ્યારે વેપારીઓ લારી લેવા જાય છે, ત્યારે તંત્ર દ્વારા સંતોષકારક જવાબ મળતો
નથી અને ભારે દંડની રકમ માંગવામાં આવે છે. આ પરિસ્થિતિને કારણે અનેક પરિવારો
બેરોજગાર બન્યા છે. વેપારીઓએ માંગ કરી છે કે જપ્ત કરાયેલી લારીઓ તાત્કાલિક મુક્ત
કરવામાં આવે અને દંડની રકમમાં રાહત આપવામાં આવે.
આ
સમગ્ર મામલે ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે મહાનગરપાલિકા પાસે જપ્ત કરેલી
લારીઓનો કોઈ સત્તાવાર રેકોર્ડ જ નથી. દબાણ શાખાના મુખ્ય અધિકારી મહોબતસિંહ સાથેની
વાતચીતમાં બહાર આવ્યું છે કે ટ્રાફિક સમસ્યા નિવારવા લારીઓ જપ્ત તો કરાય છે, પરંતુ કેટલી અને કોની
લારી જપ્ત કરી તેનો કોઈ લેખિત હિસાબ રાખવામાં આવતો નથી. તંત્રની આ ‘લોલમલોલ‘ નીતિને કારણે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના
આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં લારીધારકોએ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી
ન્યાયની માંગ કરી છે.
















