![]()
Surat Corporation : સુરત પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટમાં પાલિકાની સાઈટના બદલે જિલ્લાના ગામડામાં કચરો ઠાલવવામાં આવતો હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ખજોદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના યોગ્ય નિકાલ માટેના 213 કરોડના પ્રોજેક્ટમાં સી.ડી.ટ્રાન્સપોર્ટેશન એજન્સીની મસમોટી ગડબડી કરવામાં આવી હતી. તેના માટે તપાસ સમિતિ બનાવવામાં આવી છે પરંતુ આ તપાસ સમિતિની તપાસ શંકાસ્પદ રીતે ધીમી પડી ગઈ છે. આ તપાસ ધીમી થઈ રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં પર્યાવરણના કાયદા વિરુદ્ધ અનેક જગ્યાએ કચરો સળગાવી દેવાતા હોવાની ગંભીર ફરિયાદ થઈ છે. જાહેરમાં કચરો સળગાવનારા સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.
સુરત પાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર અને કોમર્શિયલ કચરો ઉઠાવવા માટે કામગીરી કરવામાં આવતી હોવા છતાં કેટલાક લોકો કચરાનો નિકાલ જાહેરમાં સળગાવી કરી રહ્યાં છે. હાલમાં ભાઠેના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રી દરમિયાન ખાનગી ટેમ્પોમાં કચરો લાવી સોસાયટી બહાર ખાલી કરી સળગાવી દેવામાં આવે છે. આ સમસ્યા લાંબા સમયથી છે અને આ કચરો સળગાવવાના કારણે સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સામે પ્રશ્નો ઉભા થયા છે તો બીજી તરફ આગ લાગવાની ભીતિ પણ થઈ રહી છે. આ વિસ્તારમાં ખાનગી ટેમ્પોમાં કેટલાક લોકો ઈન્ડસ્ટ્રીયલ કચરો ઠાલવી અને સળગાવી રહ્યા છે. આ માટે કેટલીક મહિલાઓએ કચરા ભરેલા ટેમ્પો પણ ઝડપી પાડ્યા છે. પરંતુ ત્યારબાદ આવા તત્વો સામે કોઈ ખાસ કામગીરી થઈ નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે.
તો બીજી તરફ પોશ ગણાતા અઠવા ઝોનમાં આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી ધંધાદારી કચરાનો જાહેરમાં નિકાલ થાય છે એટલું જ નહીં પરંતુ તે સળગાવવામાં આવતો હોવાની પણ ફરિયાદ છે. આ વિસ્તાર એરપોર્ટથી થોડે દુર આવ્યો છે પરંતુ કચરાના ઢગલા અનેક વખત સળગાવવામાં આવતા હોવા છતાં તંત્ર દ્વારા જાહેરમાં કચરો સળગાવનારા સામે કોઈ પગલાં ભરતા નથી.
જ્યારે સૌથી ગંભીર ફરિયાદ રાંદેર ઝોનમાંથી આવી છે પાલ-પાલનપોર વિસ્તારમાં અનેક જગ્યાએ સફાઈ કામદારો કચરો ભેગો કરે છે અને તેનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવી દેવામાં આવે છે. ફોટોગ્રાફ અને વિસ્તાર સાથે સફાઈ કામદારો જ કચરો સળગાવતા હોવાની ગંભીર ફરિયાદ મ્યુનિ. તંત્રને કરવામાં આવી છે.
પર્યાવરણ સંરક્ષણ કાયદા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ કચરો સળગાવવો દંડનીય ગુનો છે. પ્લાસ્ટિક અને મિશ્ર કચરો સળગવાથી ડાયોક્સિડ, ફ્યુરાન જેવા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે, જે લાંબા ગાળે કેન્સર, દમ અને હૃદયરોગનું જોખમ વધારે છે. બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ વધુ વિકટ છે. આવી ગંભીર ફરિયાદ હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તેનાથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.
















