Abusing the Lok Sabha Speaker : સંસદના બજેટ સત્રમાં સતત ચાલી રહેલા હોબાળા વચ્ચે બુધવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. સ્પીકર સાથે અપશબ્દો (ગાળો) કહ્યા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ સહિત અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ પણ ત્યાં હાજર હતા.
રાહુલ ગાંધીએ કહ્યું મારે બોલવા કોઇની પરવાનગીની જરૂર નથી
બુધવારે સંસદ પરિસરમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા રિજિજૂએ કહ્યું, “સ્પીકર સાહેબ ખૂબ જ દુઃખી છે. મેં તેમની સાથે વાત કરી છે. સ્પીકર સાહેબના ચેમ્બરમાં જઈને ગાળાગાળી કરી અને ખરાબ વર્તન કર્યું હતું. સ્પીકર સાહેબે જે નિર્ણય આપ્યો તેને માન્યો નહીં, અને પછી રાહુલ ગાંધી કહે છે કે તેમને ગૃહમાં બોલવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી, તેઓ પોતાની મરજીથી બોલશે. આ બધું રેકોર્ડ પર છે. પરંતુ ગૃહમાં અધ્યક્ષની પરવાનગી વગર બોલી શકાય નહીં.”
સ્પીકર સાથે કોંગ્રેસી સાંસદોની ગાળાગાળી
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું, “જ્યારે 20-25 કોંગ્રેસી સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસ્યા, ત્યારે હું પણ ત્યાં ગયો હતો. તેમણે સ્પીકર સાથે જે રીતે ગાળાગાળી કરી, તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. સ્પીકર ખૂબ જ નરમ વ્યક્તિ છે, નહીંતર વધુ કડક પગલાં લઈ શકાયા હોત.” રિજિજૂએ કહ્યું કે, જ્યારે સ્પીકરને અપશબ્દો કહેવામાં આવતા હતા ત્યારે ત્યાં પ્રિયંકા ગાંધી અને વેણુગોપાલ પણ હાજર હતા અને તેઓ આ બાબતને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો
આ અગાઉ, વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવા અંગેની નોટિસ મંગળવારે લોકસભાના મહાસચિવને સોંપી હતી. ઓમ બિરલા પર પક્ષપાતપૂર્ણ રીતે ગૃહ ચલાવવા, કોંગ્રેસના સભ્યો પર ખોટા આરોપો લગાવવા અને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. લોકસભા સચિવાલયના સૂત્રોએ જણાવ્યું કે, વિપક્ષ દ્વારા નોટિસ મળ્યા બાદ સ્પીકર બિરલાએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી આ મામલાનો નિકાલ ન આવે ત્યાં સુધી તેઓ આસન પર નહીં બેસે. તેમણે મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સોથી વધુ સાંસદોની સહી
માહિતી મુજબ, નીચલા ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ, મુખ્ય સચેતક કોડિકુનિલ સુરેશ અને સચેતક મોહમ્મદ જાવેદે આ નોટિસ સોંપી હતી. આ નોટિસ પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય વિપક્ષી દળોના આશરે 120 થી વધુ સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ આ નોટિસ પર સહી કરી નથી.
ઓમ બિરલા પર શું છે આરોપ?
આ પ્રસ્તાવ બંધારણની કલમ 94 (c) હેઠળ સોંપવામાં આવ્યો છે. વિપક્ષે નોટિસમાં જણાવ્યું છે કે:
– 2 ફેબ્રુઆરીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન તેમનું ભાષણ પૂરું કરવા દેવામાં આવ્યું ન હતું.
– 3 ફેબ્રુઆરીએ વિપક્ષના આઠ સાંસદોને આખા બજેટ સત્ર માટે ‘મનસ્વી રીતે’ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
– વિપક્ષે ઓમ બિરલાના 5 ફેબ્રુઆરીના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે 4 ફેબ્રુઆરીએ કોંગ્રેસના સભ્યો વડાપ્રધાનની સીટ પાસે પહોંચીને કોઈ અણધારી ઘટનાને અંજામ આપવા માંગતા હતા, તેથી વડાપ્રધાન ગૃહમાં આવ્યા ન હતા.















