![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતી માટે ૮૨૫ જેટલી જગ્યાઓને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સૌથી વધારે કાયમી અધ્યાપકોની ભરતી એમ.એસ.યુનિવર્સિટીમાં થશે.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરકારની મંજૂરી બાદ ભરતીમાં કોઈ વિસંગતતા ના રહે અને તમામ નિયમોનું પાલન થાય તે માટે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલના અધ્યક્ષ સ્થાને એક કમિટિ બનાવવામાં આવી છે.આ કમિટિએ જોકે હજી સુધી કામગીરી શરુ કરી નથી.બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશોએ પણ અધ્યાપકોની ભરતી માટેનું નોટિફિકેશન હજી સુધી બહાર પાડયું નથી.નોટિફિકેશન બહાર પડશે તે પછી જ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે.નોટિફિકેશન ક્યારે બહાર પડશે તે પણ હજી નક્કી નથી કરાયું.
જોકે બિન શૈક્ષણિક જગ્યાઓની મંજૂરી માટેની મૂંઝવણ યથાવત છે.સૂત્રોનું કહેવું છે કે, સંખ્યાબંધ હંગામી કર્મચારીઓ કાયમી થવાની માગ સાથે હાઈકોર્ટમાં ગયા છે અને આ કેસ ચાલુ છે.આ સંજોગોમાં કેટલી જગ્યાઓ મંજૂર થઈ છે તેની જાણકારી હાલના તબક્કે આપી શકાય તેમ નથી.જોકે બિન શૈક્ષણિક કર્મચારીઓની પણ કાયમી ભરતી તો થશે જ.

















