માળિયા મિંયાણામાં નોળિયો કરડતાં વૃદ્ધાનું મોત લાલબત્તીરૂપ કિસ્સો : 95 ટકા કેસમાં રખડતા કૂતરાથી સંક્રમણ : એક વખત રેબિસ વાયરસનાં સકંજામાં આવ્યા પછી હડકવાનો કોઈ ઈલાજ નથી : 100 % મોત નક્કી
રાજકોટ, : તાજેતરમાં બનાસકાંઠાનાં નરાસળ ગામમાં ભાગીયા તરીકે કામ કરતા યુવકમાં હડકવાના લક્ષણ જોવા મળ્યા હતા. એ યુવાનને ત્રણ મહિના પહેલા શ્વાન કરડયું હતું, જે બાદ આ યુવાન શ્વાન જેવો અવાજ કાઢે છે અને રસ્તાઓ પર ચાર પગથી ચાલવા સહિત શ્વાન જેવો વ્યવહાર કરે છે. એ પહેલા જાન્યુઆરીમાં ગાંધીનગરમાં નિવૃત આઈએએસ અધિકારીની પરણિત પુત્રીને કૂતરૂં કરડયા બાદ હડકવા ઉપડવાથી મોત થયું હતું તો હવે સૌનાં આશ્ચર્ય વચ્ચે માળિયા મિંયાણાના મોટાભેલા ગામમાં નોળિયો કરડતાં હડકવા ઉપાડવાથી 70વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવ્યાનો લાલબત્તીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એ પરથી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે કે, માત્ર શ્વાન નહીં, પરંતુ બિલાડી, ભૂંડ, વાંદરો, શિયાળ, નોળિયો, ચામાચીડિયું તો ઠીક રેબિસ વાયરસથી સંક્રમિત ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓ કરડવાથી કે તેમની લાળથી પણ હડકવાનું જોખમ ઉભું થાય છે.
હડકવા વાસ્તવમાં એક ઝૂનોટિક રોગ છે જે રેબિસ (લિસા) નામના વાયરસથી સંક્રમિત પ્રાણીઓના કરડવાથી માણસોમાં ફેલાય છે, તેમ જણાવીને રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાળી વધુમાં કહે છે કે, હડકવા અત્યંત જીવલેણ વાયરલ રોગ છે, જે મુખ્યત્વે મગજ અને કેન્દ્રીય ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)ને અસર કરે છે. એક વખત રેબિસ વાયરસનાં સકંજામાં આવ્યા પછી હડકવાનો કોઈ ઈલાજ કે દવા નથી, લગભગ 100 ટકા કિસ્સામાં મોત થાય છે. જો કે, પરંતુ લક્ષણો દેખાય તે પહેલાં સારવાર લઈ લેવાથી 100 % બચી પણ શકાય છે. હકિકતે જ ભારતમાં દર વર્ષે હજારો લોકો હડકવાથી મરે છે, જેની સામે સમયસર રસી લેવાથી લાખો લોકોનો જીવ પણ બચી રહ્યો છે.
આ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળ દ્વારા ફેલાય છે. મુખ્યત્વે પ્રાણી કરડવાની બાબત સૌથી સામાન્ય છે પણ ખંજવાળવાથી અથવા ઈજાગ્રસ્ત ઘા પર લાળ પડવાથી અને ખૂબ જ દુર્લભ કિસ્સામાં ચેપગ્રસ્ત પ્રાણીની લાળ આંખ, નાક, મોંમાં પહોંચે તો હડકવાની અસર થાય છે. સૌથી વધુ જોખમ ધરાવતા પ્રાણીઓમાં પહેલા નંબરે રખડતા કૂતરા આવે છે, જેમાં ભારતમાં ૯૫ ટકાથી વધુ કેસ કૂતરા કરડવાથી નોંધાઈ રહ્યા છે. અન્યમાં જંગલી અને માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે.
હડકવાના લક્ષણો સામાન્ય રીતે વાયરસગ્રસ્ત પ્રાણી કરડયા પછી 1 થી 3 મહિનામાં દેખાય છે. ક્યારેક 1 અઠવાડિયાથી લઈને ઘણા વર્ષ પણ લાગી શકે છે. જેમાં પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથું દુખવું, થાક, નબળાઈ, પ્રાણી કરડયાની જગ્યાએ ખંજવાળ, દુખાવો, ઝણઝણાટી થાય છે. બાદમાં ખૂબ જ ખતરનાક તબક્કો આવે છે, જેમાં પાણી, પવન, હવાથી ડર, ગળામાં ખેંચાણ, ઘરઘરાટી, હિંસક વર્તન, ગુસ્સો, બેચેની, ભ્રમણા, ગાંડપણ જેવું વર્તન ચાલુ થયા બાદ લકવો (પક્ષાઘાત) થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થાય છે અને છેલ્લે કોમામાં જતાં રહ્યા બાદ મૃત્યુ થાય છે.
















