Surat News: જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી, તેવા સુત્ર સાથે સુરતના કોટ વિસ્તારનો જરીવાલા પરિવાર છેલ્લા ચાર દાયકાથી સુરતના શિવ મંદિરોમાં ‘ઘીના કમળ’ વિના મુલ્યે બનાવી અર્પણ કરી રહ્યાં છે. પોતાના વડીલો પાસે ઘીના કમળ બનાવવાની કળા શીખનારા પરિવારના મોભી 40 વર્ષથી ઘીના કમળ બનાવે છે અને હવે આખો પરિવાર શિવરાત્રિના દસ દિવસ પહેલા ઘીના કમળ બનાવી શિવજીની અનોખી ભક્તિ કરી રહ્યાં છે. આ વર્ષે પણ શહેરના 20થી વધુ શિવ મંદિરોમાં ઘીના જુદા જુદા આકાર અને થીમ પર કમળ બનાવી દર્શન માટે આપશે.
40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે ‘ઘીના કમળ’ બનાવતો પરિવાર
આગામી દિવસોમાં શિવરાત્રી આવી રહી છે ત્યારે સુરતના શિવ મંદિરોમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. શિવરાત્રીમાં શિવજીની અન્ય પૂજા સાથે ઘીના કમળનું ઘણું જ મહત્ત્વ હોય છે અને શહેરના તમામ શિવ મંદિરોમાં ઘીના કમળ ચઢે છે અને તેના દર્શન લાખો શિવ ભક્તો કરે છે. શિવરાત્રીના દિવસે ઉપવાસ- પૂજા કરવા સાથે અન્ય રીતે શિવજીની ભક્તિ કરવામાં આવે છે. પરંતુ સુરતના સલાબતપુરા સીધી શેરીમાં રહેતો પ્રકાશ જરીવાલા નો પરિવાર એક અનોખી રીતે છેલ્લા ચાર દાયકાથી શિવ ભક્તિ કરી રહ્યો છે.

20થી વધુ મંદિરો માટે બનાવાશે ‘ઘીના કમળ’
પ્રકાશ જરીવાલા કહે છે, “હું જ્યારે નાનો હતો ત્યારે વડીલો ઘીના કમળ બનાવતા હતા. તેમની સાથે રહીને હું ઘીના કમળ બનાવતાં શીખ્યો હતો. પહેલા એક બે કમળ બનાવતા હતા પરંતુ ત્યારબાદ આસપાસના મંદિરો માંથી ઘીના કમળ માટે અમને કહેવામાં આવતું હતું. અમે હાલમાં 20થી વધુ મંદિરોના ઘીના કમળ બનાવીએ છીએ, તેના માટે 10 થી 15 દિવસોનો સમય જાય છે અને આ ઘીના કમળ બનાવવા માટે અમે એક પણ પૈસો મંદિરો પાસે લેતા નથી પણ માત્ર ઘી જ લઈએ છીએ.”
આ પણ વાંચો: સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત
વધુમાં તેમણે કહ્યું કે, “પહેલા તો હું એકલો કમળ બનાવતો હતો. પરંતુ ત્યારબાદ અમારા પરિવારના એક એક સભ્યો ઘીના કમળ બનાવવામાં મદદ કરે છે અને હવે તમામ 10 લોકો કમળ બનાવી રહ્યાં છે. પરિવારના કોઈ સભ્યો પ્રોફેશનલ રીતે કમળ બનાવવાનું શીખ્યા નથી. પરંતુ આ સેવા ભગવાન શિવની કૃપાથી શક્ય બની છે. અમે માત્ર ભક્ત તરીકે ફરજો નિભાવીએ છીએ. શિવજી પર અપાર શ્રદ્ધા છે તેના કારણે અમે ઘણી સારી રીતે ઘીના કમળ બનાવી મંદિર માટે મોકલીએ છીએ.”
આ સમગ્ર સેવા માટે જરીવાલા પરિવાર કોઈપણ પ્રકારનું મૂલ્ય લેતો નથી. આજના સમયમાં જ્યાં દરેક કાર્યનું મૂલ્ય નક્કી હોય છે, ત્યાં આ પરિવારની નિઃસ્વાર્થ શિવ સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
















