![]()
Food Poisoning In Navsari: નવસારી જિલ્લાના અમલસાડ ગામના વિકાસ ફળિયામાં રહેતા ટંડેલ પરિવારના પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનો બીમાર પડતા દોડધામ મચી ગઈ હતી. વરરાજા સહિત અંદાજે 155થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા લગ્નનો માહોલ હોસ્પિટલના બિછાને ફેરવાયો હતો.
જાન રવાના થાય તે પહેલા જ જાનૈયાઓની તબિયત લથડી
મળતી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર ટંડેલના પુત્ર નિલ ટંડેલના લગ્ન નિમિત્તે યોજાયેલા ભવ્ય જમણવારમાં આશરે 1000 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મોડી સાંજે જ્યારે વરરાજાની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી, ત્યારે જ ભોજન લેનારા મહેમાનોમાં એકાએક ઉબકા, ઉલ્ટી અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. ખુદ વરરાજા નિલને પણ ગંભીર અસર થતા તેમને તાત્કાલિક સારવાર લેવી પડી હતી.
આ પણ વાંચો: ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
લગ્ન પ્રસંગનું મેનુ
લગ્ન પ્રસંગના મેનુમાં છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી અને ભૂંગળા જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો. મીઠાઈમાં મહેમાનોને દૂધીનો હલવો પીરસવામાં આવ્યો હતો. આશંકા સેવાઈ રહી છે કે આ વાનગીઓમાંથી કોઈ એક પદાર્થમાં ગરબડ હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હતા.
આરોગ્ય વિભાગની તાકીદની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નવસારી આરોગ્ય વિભાગની ટીમો અમલસાડ દોડી ગઈ હતી. આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે વિગતો આપતા જણાવ્યું કે, ‘દર્દીઓની સંખ્યા 155 છે, જેમાંથી 60 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. ગામમાં આરોગ્યની ખાસ ટીમ તહેનાત કરાઈ છે અને અન્ય ગામોમાં ગયેલા મહેમાનોની પણ તબિયત અંગે તપાસ કરવામાં આવી રહી છે.’















