![]()
Jamnagar News: જામનગરમાં દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવી હતી. ત્યારે સ્થાનિકોમાં આજે (13મી ફેબ્રુઆરી) સતત બીજ દિવસે પણ દેખાવો કર્યો હતો. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત બે બસ ભરીને સંખ્યાબંધ સ્થાનિકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને અન્ય ટોળા વિખેરાયા હતા.
કોર્પોરેટરની આગેવાનીમાં હંગામો
રેલવે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી દિગઝામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટી વિસ્તારમાં મકાનો ખાલી કરવા માટેની નોટિસ પાઠવી હતી. આ જગ્યા રેલવેની માલિકીની છે, તેમ દર્શાવીને નોટિસ પાઠવવામાં આવી છે અને સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા જણાવાયું છે. જેના સ્થાનિકોમાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ગત રાત્રિના સમયે મહિલા સહિતના સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જો કે, પોલીસે તમામને અટકાવ્યા હતા,ત્યારે શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે જણાવીને સમજાવ્યા હતા, ત્યારબાદ લોકો પરત ફર્યાં હતા.
આ દરમીયાન આજે સવારે 11 વાગ્યા બાદ ફરીથી લાલ બંગલા સર્કલમાં લોકો એકત્ર થયા હતા, જેની આગેવાની સ્થાનિક વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાએ લીધી હતી. જેને આગેવાનમાં મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાની કચેરીના પટાંણમાં એકત્ર થઈ ગયા હતા અને કમિશનર ને મળવા માટેની જીદ પકડી હતી.
પોલીસ ઍલર્ટ મોડમાં
મ્યુનિસિપલ કમિશનર તેઓને નીચે મળવા આવે તેવી માંગણી કરી સૂત્રોચાર કરી રહ્યા હતા આથી પોલીસે કોર્પોરેટર રાહુલ બોરીચા સહિતના નાગરિકોની અટકાયત શરૂ કરી હતી. બે બસ ભરીને સ્થાનિકોને અટકાયત કરીને પોલીસની બસમાં બેસાડ્યા હતા, જેથી અન્ય લોકોના ટોળા વિખેરાયા હતા. જોકે પોલીસ તંત્ર દ્વારા તમામને મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતી. પરંતુ રેલવે તંત્રની નોટિસના મામલે હવે શું થાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. પોલીસ તંત્ર પણ આ મામલે ઍલર્ટ મોડમાં રહ્યું છે.
















