![]()
– રૂ. 4 કરોડના કામમાં ગેરરીતિ, નબળી કામગીરીના આક્ષેપ
– નગરપાલિકાના ચીફ ઓફિસરે અમદાવાદની ‘રાજ કોર્પોરેશન’ એજન્સીને નોટિસ આપી ખુલાસો માંગ્યો
આણંદ : ડાકોરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટના કામમાં એજન્સી દ્વારા લોલમલોલ ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અમૃત ૨.૦ યોજના અંતર્ગત ચાલી રહેલા રૂ. ૪ કરોડના કામમાં ગેરરીતિ અને નબળી કામગીરીની થતી હોવાના આક્ષેપોની ફરિયાદો ઉઠતા ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે અમદાવાદની ‘રાજ કોર્પોેરેશન’ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
ડાકોરમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કામનું ટેન્ડરિંગ ગાંધીનગર કમિશનર કચેરીથી કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની રાજ કોર્પોેરેશનને અંદાજે ૪ કરોડથી વધુ રકમનું કામ સોંપાયું હતું. પરંતુ, એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી અત્યંત નબળી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો એજન્સીની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે, રસ્તાઓ ખોદી નાખ્યા બાદ યોગ્ય મરામત ન થતા સમગ્ર ડાકોરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે રહીશોમાં શ્વાસ અને દમની બીમારી ફેલાવવાનો ભય પેદા થયો છે.
પાઈપલાઈન જમીનથી ૧ ફૂટ ઊંડી દબાવવાની હોય તેને બદલે ઉપરછલ્લી દબાવી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ટેન્ડર મુજબ, ખોદકામ બાદ રિસરફેસિંગ કરી પ્લાસ્ટર કરવાનું હોય છે, પરંતુ એજન્સીએ માત્ર ‘કવરી વેસ્ટ’ (પથ્થરની ડસ્ટ) નાખી ખાડા પૂરી દીધા છે. આના કારણે વાહનો ફસાઈ જવાના અને ચાલકોના પગ મચકોડાઈ જવાના અનેક કિસ્સાઓ બન્યા છે. લોકોની સતત ફરિયાદોને ધ્યાને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી છે. સરકાર દ્વારા લોકોની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે, ત્યારે ડાકોરમાં એજન્સી દ્વારા કરવામાં આવતી આ ‘વેઠ’ ચર્ચાનો વિષય બની છે.
















