વડોદરાઃ વિદેશી પક્ષીઓ માટે જાણીતા વડોદરા નજીકના વઢવાણા તળાવમાં આ વખતે ૪૭૭૦૦ પક્ષીઓ આવ્યા હોવાનું તાજેતરની ગણતરીમાં સામે આવ્યું છે.
શિયાળો ગાળવા માટે અહીંયા ધામા નાખતા પક્ષીઓની સંખ્યામાં જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડો નોંધાયો છે અને વન વિભાગ માટે પણ આ બાબત ચિંતાનો વિષય બની છે.આ વર્ષે શિયાળાની સિઝનમાં વઢવાણા તળાવને પસંદ કરનારા પક્ષીઓની સંખ્યા ૨૦૨૨ની સરખામણીએ જોવામાં આવે તો અડધી રહી ગઈ છે.૨૦૨૨માં અહીંયા ૯૫૦૦૦ પક્ષીઓ આવ્યા હતા.તેના એક વર્ષ પહેલા જ વઢવાણા તળાવને રામસર સાઈટ પણ જાહેર કરવામાં આવી હતી.
વન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વઢવાણા તળાવની સપાટીમાં થતો વધારો- ઘટાડો પક્ષીઓની ઘટેલી સંખ્યા પાછળનું એક મોટું કારણ છે.વઢવાણા સિંચાઈ તળાવ છે અને તે સિંચાઈ વિભાગ હેઠળ આવે છે.ખેતી માટે પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગને તળાવમાં પાણીનું લેવલ અમુક હદ સુધી જાળવી રાખવું પડે છે.બીજી તરફ શિયાળો ગાળવા આવતા વિદેશી પક્ષીઓ આસાનીથી ખોરાક મળી રહે તે માટે ઓછું પાણી પસંદ કરે છે.આ વર્ષે તળાવને ઘર બનાવનારા પક્ષીઓની સંખ્યાની ગણતરી ત્રણ તબક્કામાં કરવામાં આવી હતી.ત્રીજા તબક્કામાં સૌથી વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા.કારણકે આ સમયગાળામાં તળાવમાં પાણી ઓછુ હતું.
શિયાળામાં પાણીની એક સરખી સપાટી જાળવવા માટે સિંચાઈ વિભાગને પત્ર
વન વિભાગ દ્વારા આવનારા વર્ષોમાં વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તે માટે અનુકુળ માહોલ સર્જાય તેના ભાગરુપે પાણીની સપાટીમાં વધારા ઘટાડાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત વન વિભાગે સિંચાઈ વિભાગને એક પત્ર લખીને શિયાળામાં વઢવાણા તળાવમાં પાણીનું સ્તર એક સરખુ રાખવા માટે અપીલ કરી છે.તેની પાછળનું એક કારણ એ પણ છે કે, પાણીની સપાટીમાં વધારો ઘટાડો થવાના કારણે પાણીમાં ઉગતા કેટલાક પ્લાન્ટસ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી.આ પ્લાન્ટસ પર ઘણા શિયાળુ પક્ષીઓ ખોરાક માટે નિર્ભર હોય છે.જેમ કે પાણીનું લેવલ વધારે હોય તો બતક આ પ્લાન્ટસ સુધી પહોંચવા માટે ઉંડે સુધી ડુબકી મારી શકતા નથી.આમ પક્ષીઓ પ્લાન્ટસના અભાવે તેઓ બીજું રહેઠાણ પસંદ કરે છે.
કયા વર્ષમાં કેટલા પક્ષીઓ આવ્યા
૨૦૨૨ ૯૫૦૦૦
૨૦૨૩ ૫૦૦૦૦
૨૦૨૪ ૫૪૧૭૧
૨૦૨૫ ૨૯૧૮૯
૨૦૨૬ ૪૭૭૦૦
કઈ પ્રજાતિના કેટલા પક્ષીઓ
–કોમન કૂટસ(ભગતડું) ૯૦૦૦
–ગ્લોસી આઈબિસ(નાની કાંકણસાર) ૧૨૩૭૦
–નોર્ધન પિનટેઈલ(સીંંગપર) ૯૮૦૦
–નોબ બિલ્ડ ડક(નકટો) ૮૦૦૦
–રડી શેલડક(ભગવી સૂરખાબ) ૭૪૫૦
–ગ્રેલેગ ગીસ(ગાજહંસ) ૩૩૦૦
પેલિકન પક્ષી હવે વઢવાણા તળાવમાં ધામા નથી નાખતા
પહેલા પેલિકન (ગુલાબી પેણ) નિયમિત રીતે વઢવાણા તળાવમાં ધામા નાખતા હતા પણ છેલ્લા પાંચ વર્ષથી પેલિકન પક્ષી વઢવાણા તળાવમાં દેખાતા નથી.અન્ય કોઈ જળાશયને તેમણે રહેઠાણ તરીકે પસંદ કરી લીધું છે.ભાગ્યે જ દેખાતા હોય તેવા ઈસાબેલિન શ્રાઈક( લાલ પૂંછ લટોરો) તેમજ રેડ ક્રેસ્ટેડ પોચાર્ડસ( લાલ ચાંચ કરચિયા) પ્રજાતિના પક્ષીઓ આ વખતે જોવા મળ્યા છે.
















