![]()
માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો
રસુલપરા વિસ્તારમાંથી પણ કિશોરી લાપતા બની જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટ: નાનામવા વિસ્તારમાં રહેતી ધો.૧૦ની છાત્રા ગઇકાલે સ્કૂલેથી નીકળી ગયા બાદ લાપતા બની જતા વાલીઓએ માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે છાત્રાની શોધખોળ શરૂ કરી છે.
ગઇકાલે સવારે છાત્રા નિત્યક્રમ મુજબ સ્કૂલે ગઇ હતી. બપોરે સમયસર ઘરે નહીં આવતા તેના પિતાએ સ્કૂલે જઇ તપાસ કરી હતી. તે વખતે એક શિક્ષકે સીસીટીવી કેમેરા બતાવતા તેમાં તેની પુત્રી બપોરે ૧૨ઃ૪૧ વાગ્યે સ્કૂલેથી છુટીને બહાર નીકળતી જોવા મળી હતી. અન્ય જગ્યાએ પણ તપાસ કરી હતી.
પરંતુ ક્યાંયથી પતો નહીં મળતા ચિંતાતુર પિતાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જેનાં આધારે પોલીસે અજાણ્યા શખ્સે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં રસુલપરા વિસ્તારમાંથી ગઇકાલે સવારે એક કિશોરી લાપતા બની ગઇ હતી. જે અંગે તેના પિતાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
















