![]()
Seventh Day School and RTE news : અમદાવાદના મણિનગરમાં આવેલી અને સતત વિવાદમાં રહેતી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે. આ શાળા પાસે પ્રાથમિક વિભાગ માટેનું જરૂરી માઈનોરીટી સર્ટિફિકેટ ન હોવા છતાં વર્ષ 2017-18 થી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ કે મધ્યમ વર્ગના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો નથી. તેના બદલે શાળાએ આ અનામત બેઠકો પર સામાન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને તેમની પાસેથી ફી વસૂલી હોવાનો આક્ષેપ છે. મહત્ત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અંદાજે 8000 જેટલા બાળકોના હક છીનવીને શાળાએ FRCના નિયમો મુજબ આશરે 19 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
શાળા સંચાલકો દ્વારા માઈનોરીટી સ્ટેટસ મેળવવા માટે કરવામાં આવેલી અરજી અગાઉ નામંજૂર કરી દેવામાં આવી હતી, જેના પરિણામે આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં પહોંચ્યો છે. શિક્ષણ વિભાગે શાળા દ્વારા કરવામાં આવેલી આ આર્થિક ગેરરીતિઓ અને નિયમોના ઉલ્લંઘન અંગેના મજબૂત પુરાવાઓ પણ કોર્ટમાં રજૂ કર્યા છે. હવે આ મામલે કોર્ટ કેવો ચુકાદો આપે છે અને શિક્ષણ વિભાગ શાળા સામે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
અમદાવાદ સિટી DEO રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, આશલોક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળામાં વર્ષ 2021થી હાઈકોર્ટનો સ્ટે હોવાને કારણે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા અટકેલી છે, જેના પરિણામે અંદાજે 8000 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ મફત શિક્ષણ મેળવવાથી વંચિત રહ્યા છે અને તેમની જગ્યાએ નોન-RTE વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને 19 કરોડ રૂપિયાથી વધુની ફી એકત્રિત કરવામાં આવી હોય તેવું જણાય છે. અમારી તપાસ સમિતિ દ્વારા વારંવાર માંગવા છતાં શાળા અત્યાર સુધી પ્રાથમિક વિભાગનું માઈનોરિટી સર્ટિફિકેટ રજૂ કરી શકી નથી તેથી અમે આ તમામ આધારો નામદાર હાઈકોર્ટમાં રજૂ કરીશું અને કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે, શાળામાં 11,000 જેટલા વિદ્યાર્થીઓ હોવા છતાં એસસી, એસટી, ઓબીસી અને માઈનોરિટી સ્કોલરશિપના ફોર્મ ભરવામાં પણ ઉદાસીનતા જોવા મળી છે, જેથી મેં આચાર્યને તાત્કાલિક અસરથી તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવવા અને વાલીઓને માહિતગાર કરવા કડક સૂચના આપી છે.















