![]()
Vadodara Fire : વડોદરા શહેરના આજવા-વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આગના કારણે ગોડાઉનમાં મુકેલો સોફા સહિતનો સામાન બળીને ખાસ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
વડોદરા શહેરના આજવા વાઘોડિયા રિંગ રોડ પર આવેલા સોફાના ગોડાઉનમાંથી અગમ્ય કારણોસર ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેને જોઈને સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. ત્યારબાદ થોડીવારમાં ધુમાડાના ગોટા બાદ આગ ફાટી નીકળી હતી. પરંતુ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાંથી સ્થાનિક દ્વારા
ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. ત્યારે ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી મળી નથી. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલો સોફા બનાવવાનો કાચો માલ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વેપારીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોય પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
















